ખોદકામ કરાયેલ ખાડો પુરવા પાલીકા પાસે સમયનો અભાવ
ઈડર નગરપાલિકા દ્વારા શ્રીનગર સત્યમ ચાર રસ્તાથી શ્રી નગરના રોડ.નં.૧૦ તરફ જતા રસ્તા વચ્ચે પાણીની લીકેજ લાઈન રીપેરીંગ કરવા ખોદકામ કરવામા આવ્યુ હતુ જેના દસ દિવસ વિતવા છતા ખાડો ન પૂરતા વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી તેમજ શહેરના બરવાવ રોડ પર આવેલ ધરોઈ પાણીની લાઈન છેલ્લા ઘણા સમયથી લીકેજ છે પરંતુ પાણીનો વેડફાટ થતો હોવાછતાં પાલિકા દ્વારા લાઈન રીપેર કરવામા આવતી નથી જેથી લીકેજના કારણે પડી ગયેલા મસમોટા ખાડામા પાણી ભરાઈ રહે છે ત્યારે જાહેર રોડ પાસે પડેલા ખાડામા કોઈ વાહનચાલક કે રાહદારીને અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહેલુ પાલિકા તંત્ર ક્યારે જાગશે એ જોવુ રહ્યુ ?
ઈડરના સત્યમ ચાર રસ્તાથી શ્રી નગરના રોડ.નં.૧૦ તરફ જતો રોડ પરથી સ્થાનિક રહેણાક વિસ્તાર તેમજ મોટા શોપિંગ સેન્ટર અને દવાખાનામા જવા માટે રાતદિવસ લોકો પોતાના વાહનો તેમજ ચાલતા અવરજવર કરતા હોય છે ત્યારે અહી રસ્તાની બાજુમાથી નગરપાલિકા દ્વારા રહેણાક વિસ્તારના લોકોને ઘર વપરાશ તેમજ પીવાના પાણી માટે લાખ્ખો રૂપિયા ખર્ચ કરી મસમોટી લાઈનો ઉતારવામા આવી છે અને ત્યાં એક પાણી છોડવા માટે વાલ્વ મુકવામા આવ્યા છે જે પાણીના વાલ્વમાથી છેલ્લા ઘણાં સમયથી પાણીનો ખોટો વેડફાટ થઈ રહ્યો હતો જેના કારણે રોડ પર પાણીની નદીઓ વહી રહી છે અને રાહદારીઓ સહિત સ્થાનિક રહેણાક વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી ત્યારે રસ્તા વચ્ચે પાણીની લીકેજ લાઈન રીપેરીંગ કરવા પાલીકા દ્રારા ખોદકામ કરવામા આવ્યુ હતુ અને લીકેજ વાલ્વ રિપેરિંગ કરવામા આવ્યો હતો ત્યારે ખોદકામ કરવામા આવેલ પાણીની લાઈનનો ખુલ્લો ખાડો દસ દિવસથી પુરવામા ન આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે જેથી સત્વરે ખાડા પુરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.