128થી વધુ ધારાસભ્યોના સમર્થનનો એનડીએનો દાવો, બહુમત માટે 122ની જરૂર
હોર્સ ટ્રેડિંગની શક્યતાને પગલે તમામ પક્ષોએ ધારાસભ્યોને પટનામાં અલગ અલગ જગ્યાઓએ એકઠા કરી રાખ્યા
પટના : બિહારમાં કોંગ્રેસ અને આરજેડી સાથે છેડો ફાડીને ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા જઇ રહેલા નીતિશ કુમારે ૧૨મી તારીખે વિધાનસભામાં અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે. સોમવારે બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે બહુમત સાબિત કરવી પડશે. જોકે આ દરમિયાન એવા દાવા થઇ રહ્યા છે કે જદ(યુ)ના જ કેટલાક ધારાસભ્યો નીતિશ કુમારના કહ્યામાં નથી, તેથી સોમવારે વિશ્વાસમત દરમિયાન કઇ પણ થઇ શકે છે. હાલ ભાજપ, જદ(યુ), આરજેડી, કોંગ્રેસ એમ તમામ પક્ષો પોતાના ધારાસભ્યોને એક રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ડિનરના બહાને એક જગ્યાએ જ એકઠા કરી લીધા છે.
ભાજપના તમામ ધારાસભ્યોને બિહારના બોધગયાના એક રિસોર્ટમાં રખાયા હતા, જ્યાંથી તેઓને રાજધાની પટના રવાના કરાયા છે. જદ(યુ)ના ધારાસભ્યો માટે મંત્રી શ્રવણ કુમારે પોતાના નિવાસ પર ડિનરનું આયોજન કર્યું હતું જેમાં તમામ ૪૫ ધારાસભ્યોને હાજર રહેવા કહેવામાં આવ્યું હતું, પણ એવા અહેવાલો છે કે માત્ર ૩૯ ધારાસભ્યો જ ડિનર માટે પહોંચ્યા હતા, અન્ય ધારાસભ્યો કેમ નથી આવ્યા તેને લઇને અનેક અટકળો ચાલી રહી છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે નીતિશ કુમાર બહુમત સાબિત નહીં કરી શકે. કોંગ્રેસના ધારાસભ્યોને તેલંગણામાં રખાયા હતા જ્યાંથી તેઓને પટના લાવવામાં આવ્યા છે. આરજેડીના તમામ ધારાસભ્યો તેજસ્વી યાદવના નિવાસ પર એકઠા થયા છે.
એવામાં ઝારખંડના મંત્રી આલમગીર આલમે દાવો કર્યો છે કે બિહારની વિધાનસભામાં બહુમત સાબિત કરવી નીતિશ કુમાર માટે સરળ નહીં રહે. એનડીએ માટે પણ કપરો સમય છે.
નીતિશ કુમાર વારંવાર પલટી મારી રહ્યા છે. જેને કારણે તેમના જ પક્ષના ધારાસભ્યો નારાજ છે. મંત્રીનો દાવો છે કે બિહારના એક ડઝનથી વધુ ધારાસભ્યો ગૂમ છે. ફ્લોર ટેસ્ટ સરળ નહીં રહે. નીતિશ કુમાર અને જદ(યુ)થી લોકો નારાજ છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો હાલ તેજસ્વી યાદવના ઘર પર આરજેડીના ધારાસભ્યોની સાથે પહોંચી ગયા છે.
આરજેડીના નેતા મૃત્યુંજય તિવારીએ કહ્યું હતું કે નીતિશ કુમારની આ નવી સરકાર માત્ર ૨૪ કલાકની મહેમાન છે.
ભાજપના સાંસદ સતીશ ચંદ દૂબેનો દાવો છે કે નીતિશ કુમાર બહુમત પ્રાપ્ત કરી લેશે, તેમને ભાજપ અને જદ(યુ) તેમજ જીતન રામ માંઝીના પક્ષનું સમર્થન છે. નોંધનીય છે કે જદ(યુ), ભાજપ અને જીતન રામ માંઝીના પક્ષે મળીને ગઠબંધન કર્યું છે જે બહુમતની એકદમ નજીક છે. જેને પગલે હોર્સ ટ્રેડિંગની શક્યતાઓ છે. અને તમામ પક્ષોની નજર સોમવારે વિધાનસભામાં વિશ્વાસમત પર રહેશે. બિહારના રાજ્યપાલ પણ સતર્ક થઇ ગયા છે અને તેમણે પોતાની કાયદાકીય ટીમમાં ફેરફાર કર્યા છે અને અધિકારીઓને બદલી નાખ્યા છે.
તેજસ્વી યાદવ રાજકીય જ્યારે તેજ પ્રતાપ ચેસના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત
બિહારમાં લાલુના લાલ તેજ પ્રતાપ યાદવ પણ ભાઇ તેજસ્વી યાદવની જેમ રાજકીય ચોગઠા ગોઠવવામાં લાગી ગયા છે. હાલ તેજસ્વી યાદવના નિવાસ સ્થાને આરજેડી, કોંગ્રેસના ધારાસભ્યો એકઠા થયા છે. એવામાં ઘરના પ્રાંગણમાં તેજ પ્રતાપ યાદવ અન્ય ધારાસભ્યની સાથે ચેસ રમતા જોવા મળ્યા હતા. જોકે રાજકારણ મુદ્દે તેજ પ્રતાપ યાદવ પોતાના ભાઇ તેજસ્વી યાદવની જેટલા તેજ નથી ગણાતા તેમ છતા તેઓ ભાઇને સત્તામાં જોવા માટે ચોગઠા ગોઠવવાનો પ્રયાસ કરતા નજરે પડયા હતા. જ્યારે તેજસ્વી યાદવ નીતિશને મુખ્યમંત્રી બનતા અટકાવવા માટે રાજકીય રમતના ચોગઠા ગોઠવી રહ્યા છે.
બિહાર વિધાનસભામાં હાલ રસાકસી જેવી સ્થિતિ
બિહાર વિધાનસભામાં કુલ બેઠકો ૨૪૩ છે, તેથી બહુમત માટે ૧૨૨ ધારાસભ્યો હોવા જરૂરી છે. હાલમાં સૌથી વધુ ૭૯ ધારાસભ્યો લાલુ યાદવના પક્ષ આરજેડી પાસે છે, જ્યારે ૭૮ ધારાસભ્યો સાથે ભાજપ બીજા ક્રમે અને નીતિશ કુમારનો પક્ષ જદ(યુ) ૪૫ ધારાસભ્યો સાથે ત્રીજા ક્રમે છે. કોંગ્રેસ પાસે બિહારમાં ૧૯ ધારાસભ્યો છે. જીતન રામ માંઝીના હમ પાસે ૪ ધારાસભ્યો છે.
આ ઉપરાંત ડાબેરી પક્ષ સીપીઆઇ(એમએલ)(એલ) પાસે પણ ૧૨ ધારાસભ્યો છે. સીપીઆઇ(એમ) પાસે બે અને સીપીઆઇ પાસે બે ધારાસભ્યો છે. એક સ્વતંત્ર અને ઓવેસીના પક્ષ પાસે એક ધારાસભ્ય છે. જદ(યુ), ભાજપ, માંઝીના હમના મળીને કુલ ધારાસભ્યોની સંખ્યા ૧૨૮ પર પહોંચી છે. તેથી ઓછામાં ઓછા સાત ધારાસભ્યો આઘાપાછા થાય અને વિરોધમાં મત આપે તો નીતિશ કુમારનું ફરી મુખ્યમંત્રી બનવાનું સપનું અધુરુ રહી શકે છે. હાલ બિહારમાં ભાજપના ઓપરેશન લોટસ સામે આરજેડીનું ઓપરેશન લાલટેન જેવી સ્થિતિ જોવા મળી રહી છે.