મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ભાવપૂર્ણ ઉપસ્થિતિમાં અંબાજીમાં ગબ્બરની તળેટી ખાતે યોજાયેલી મહા આરતીની સાથે સાથે…..
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬૨ કરોડના ખર્ચે ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથનું નિર્માણ કરાવી એક જ સ્થળે ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો ભક્તો લઈ શકે એવું સુંદર આયોજન કર્યું
સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે. શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ એ આપણો ધાર્મિક ઉત્સવ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬૨ કરોડના ખર્ચે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથનું નિર્માણ કરાવી એક જ સ્થળે ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો ભક્તો લઈ શકે એવું સુંદર આયોજન કર્યું છે ત્યારે વહીવટ તંત્ર દ્વારા યાત્રિકો માટે પાંચ દિવસ સુધી સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યાત્રિકોને લઈ જવા અને ઘરે સુધી હેમખેમ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ છે. મંદિરો એ આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર છે. અંબાજીમાં દર વર્ષે લાખો માઇભક્તો આવે છે અને પોતાના મનોરથ પૂર્ણ કરે છે. આ યાત્રામાં કોઈને પણ તકલીફ ન પડે એ પ્રકારની સુવિધાઓ યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાઈ છે.
અંબિકા રથ
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંબિકા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથ એક યાત્રાધામને બીજા યાત્રાધામ સાથે આધ્યાત્મિક રીતે જોડવાનો પ્રયાસ કરશે તથા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા સંઘોની નોંધણી પણ કરશે. આ રથમાં વર્ચ્યુઅલ રિયાલિટીથી અંબાજી ગબ્બરના દર્શનની અલૌકિક અનુભૂતિ કરાવાશે. રથને સાઉન્ડ સિસ્ટમ અને અદ્યતન રોશનીથી શણગારવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવેલ આ રથ તેના રૂટ પ્રમાણે પરિભ્રમણ કરશે. એટલું જ નહીં જે ગામમાં આ રથ જશે ત્યાં અંબાજી મંદિર અને શ્રી ૫૧ શક્તિપીઠનો પ્રચાર- પ્રસાર તથા માતાજીની આરતી કરવામાં આવશે.
મહોત્સવ દરમિયાન યાત્રિકો માટે દરરોજ વિનામૂલ્યે રહેવા, જમવા અને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટની સુંદર સુવિધાઓનું આયોજન
આ મહોત્સવમાં રહેવા, જમવા અને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટની સુંદર સુવિધાઓનું આયોજન કરાયું છે. રોજેરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જિલ્લા વહીવટ તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રથમ દિવસે પાલખી યાત્રા, શંખનાદ યાત્રાનો પ્રારંભ થયો ત્યારબાદ પાદુકા યાત્રા, ચામર યાત્રા, ધ્વજા યાત્રા, મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને જ્યોત યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમજ આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૭ કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.