ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત
ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચાંદીના છત્તર, કંદોરો અને મુગટ સહિતના દાગીના ચોરાયા
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેર નજીક બાસણ ગામના ખોડીયાર માતાજી મંદિરના તાળાં તોડીને તસ્કરોએ તેમાંથી માતાજીના આભૂષણો ચોરી લીધા હતા. જે સંદર્ભે પૂજારીએ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ૪૪ હજારની મત્તાની ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડવા મથામણ શરૃ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેર હોય કે આસપાસના વિસ્તાર તસ્કરો મકાન, દુકાન બાદ હવે મંદિરોને પણ છોડતા નથી ત્યારે આ વખતે શહેર નજીક આવેલા બાસણ ગામના ખોડીયાર માતાજી મંદિરને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. જે સંદર્ભે મંદિરમાં છેલ્લા ૧૮ વર્ષથી સેવા પૂજા કરતા શૈલેષગીરી બળદેવગીરી ગોસ્વામીએ ફરિયાદ આપી હતી કે, ગઈકાલે સાંજના સમયે તેઓ મંદિરમાં સેવા પૂજા કરવા માટે ગયા હતા અને ત્યારબાદ મંદિરને તાળા મારીને તેમના ઘરે ગયા હતા આજે સવારના છ વાગ્યાના સુમારે તેઓ મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરના દરવાજાનું તાળું જણાયું ન હતું અને અંદર જઈને તપાસ કરતા માતાજીના ઉપર રહેલા આભૂષણો ચોરાયા હતા. તપાસ કરતા માતાજીનો મુગટ, માતાજીનો કંદોરો અને નાના મોટા છ જેટલા છત્તર ચોરાયા હોવાનું જણાયું હતું જેથી આ અંગે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા ૪૪ હજારની મતાની ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે, શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કરો સક્રિય થઈ ગયા છે ત્યારે ચોરીની સતત વધી રહેલી ઘટનાઓ અટકાવવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા યોગ્ય એક્શન પ્લાન બનાવવાની જરૃરિયાત લાગી રહી છે. અગાઉ શહેર અને જિલ્લામાં નોંધાયેલી સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ભેદ હજી સુધી ઉકેલવામાં આવ્યા નથી.