વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
આજે વડાપ્રધાન મોદી વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે
આજે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. મળતી માહિતી પ્રમાણે આજે વડાપ્રધાન સવારે 10:45 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજર રહેશે. ત્યારબાદ બપોરે મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. આ ઉપરાંત તેઓ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના ₹44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.