આણંદ જિલ્લાના બોરસદના શખ્સનું કારસ્તાન
ફેમીલી પેન્શન ફરી ચાલુ કરાવવાનું કહી ડોક્યુમેન્ટ મેળવ્યા હતા
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામે રહેતી અભણ એવી વિધવા મહિલાના મૃત માતા-પિતાના નામે મળતું ફેમીલી પેન્શન બંધ થતા તે પેન્શન ફરી ચાલુ કરી આપવાના નામે આણંદ જિલ્લાના બોરસદના શખ્સે મહિલાના ડોક્યુમેન્ટ મેળવી તેનો અંગત ઉપયોગ કરી પેન્શન પ્રોવિડંટ ફંડ ભરપાઈના નામે ખોટી નોટિસ મોકલી રૂ.૩.૫૦લાખનો ચેક લઇ ઠગાઈથી તે નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સર કરાવી વિશ્વાસઘાત કર્યો હતો.
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ખાતે બલદેવ પાર્કમાં રહેતા અને મૂળ વ્યારા ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામના નિવાસી એવા નિવૃત્ત શિક્ષક માનસિંગભાઈ ખાલપાભાઇ ચૌધરીના પિતા ખાલપાભાઇ નહેર ખાતામાંથી વયનિવૃત્ત થયા હતા. વર્ષ ૨૦૦૧ દરમિયાન તેઓનું અવસાન થતા પત્ની રાજુબેન ખાલપાભાઇ ચૌધરીને તેઓનું અડધું પેન્શન મળતું હતુ. જોકે, વર્ષ ૨૦૨૦માં રાજુબેનનું પણ અવસાન થતા પેન્શન બંધ થયું હતુ. રાજુબેનના એસબીઆઈ બન્કના ખાતામાં નોમિની તરીકે ઉમરવાવ નજીક ગામે નિશાળ ફળિયામાં રહેતી અભણ એવી વિધવા પુત્રી વનીતાબેનનું નામ દાખલ કરેલું હતુ. રાજુબેનના અવસાન થયાના દોઢ વર્ષ જેટલો સમયમાં કોઈ નાણાકીય લેવડ દેવડ ન થતા રાજુબેનનું બેન્ક ખાતું બંધ થયું હતુ. દરમિયાન માનસિંગભાઈ ચૌધરી વ્યારા ખાતે શિવ શક્તિ પાર્ક સોસાયટી-૨માં વર્ષ ૨૦૧૮માં મકાન બનાવી રહ્યા હતા.
ત્યારે પુત્ર ભાવિનનો પરિચિત મિત્ર મનીષ કિરણભાઈ ક્રિશ્ચન (રહે. ખાસીવાડી નજીક, તા.બોરસદ, જી.આણંદ) પણ વ્યારા ખાતે આવ્યો હતો. અને વનિતાબેનને વિધવા પેન્શનનું ફોર્મ ભરાવી આપીશ તથા બંધ થયેલું ખાતું ફરી ચાલુ કરાવી આવીએ કહી વનિતાબેનને લઈને બેંકમાં ગયો હતો. વનિતાબેન અભણ હોવાથી ફોર્મ ભરવાના નામે બધા ડોક્યુમેન્ટ મનીષે મેળવી લીધા હતા. જેના થોડા સમય બાદ વનીતાબેનના નામે ગાંધીનગર પેન્શન પ્રોવિડંટ ફંડ વિભાગ તરફથી પેન્શન રિકવરી માટે નોટિસ આવી હતી. જેની ખરાઈ કરતા નોટિસ બોગસ હોવાનું જાણવા મળ્યું હતુ. તથા મનીષ ક્રિશ્ચને છેતરપિંડી કરવા બોગસ ટપાલ મોકલી હતી. ત્યારબાદ મનીષે પેન્શન પ્રોવિડંટ ફંડ વિભાગ પાસે તમારી માતાની પેન્શનની માહિતી હોય રિકવરી કરવા માટે તમારા પેન્શનમાંથી નાણાં કાપશે અને પેન્શન પણ બંધ થઇ જશે. જેથી નાણાં ભરપાઈ કરવા વિશ્વાસમાં લઇ મનીષે જણાવ્યું હતું કે, મને રૂ.૩.૫૦ લાખ આપો, બીજા હું ભરી દઈશ, એ રીતે રૂ.૭.૪૫ લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી સરકારમાં ભરપાઈ કરી દઈશું.
જેથી માનસિંગભાઈ ચૌધરીએ બેંકમાં વનીતાબેન સાથેના જોઈન્ટ ખાતાના બે ચેક આપ્યા હતા. જે ચેક વટાવી મનીષ ક્રિશ્ચને પોતાના ખાતામાં રૂ.૩,૫૦,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ મનીષ ક્રિશ્ચને પેન્શન પ્રોવિડંટ ફંડના નાણાં ભરપાઈ કરવાના નામે વિશ્વાસઘાત કરી પૈસા પડાવી લીધા હતા. જે અંગે પુરાવા મેળવી માનસિંગભાઈ ચૌધરીએ ડોલવણ પોલીસ મથકે શુક્રવારે મનીષ કિરણભાઈ ક્રિશ્ચન સામે છેતરપિંડીની ફરિયાદ આપી હતી.