દેશમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે શેરબજારમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે રોકાણકારો ચિંતિત અને વૈશ્વિક બજારોમાં વેચવાલીથી મુખ્ય સ્ટોક ઈન્ડેક્સ સેન્સેક્સ સોમવારે શરૂઆતના કારોબારમાં 1,000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.

શરૂઆતના કારોબારમાં 30 શેર ઇન્ડેક્સ 1,028.61 પોઇન્ટ અથવા 1.80 ટકા ઘટીને 55,983.13 પર હતો. જ્યારે નિફ્ટી 307.50 પોઈન્ટ અથવા 1.81 ટકા ઘટીને 16,677.70 પર આવી ગયો હતો. સેન્સેક્સમાં સૌથી વધુ ચાર ટકાનો ઘટાડો બજાજ ફાઈનાન્સમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, એમએન્ડએમ અને એચડીએફસી બેંક પણ મોટા ઘટાડાવાળા શેરોમાં સામેલ હતા.
અગાઉના સત્રમાં સેન્સેક્સ 889.40 પોઈન્ટ અથવા 1.54 ટકા ઘટીને 57,011.74 પર બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી 263.20 પોઈન્ટ અથવા 1.53 ટકાના ઘટાડા સાથે 16,985.20 પર બંધ થયો હતો. શેરબજારના અસ્થાયી આંકડાઓ અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણોએ શુક્રવારે રૂ. 2,069.90 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, આ દરમિયાન આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 2.45 ટકા ઘટીને 71.72 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોનના કારણે યુરોપિયન દેશોમાં ફરી એકવાર પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. તહેવારોની મોસમમાં ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રને આંચકો લાગવાનો ભય છે. આવી સ્થિતિમાં બજારો સતત નકારાત્મક વલણ સાથે આગળ વધી રહ્યા છે. એશિયન માર્કેટમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો