40 હજાર વળતર પેટે આપવા આદેશ
17 વર્ષ પહેલા દહેજની માંગ કરી માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી
આંકલાવમાં રહેતી પરીણિતાને ૧૭ વર્ષ પહેલા દહેજ બાબતે ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકાઈ હતી. આ ઘટનામાં આંકલાવે પોલીસ મથકે છ સાસરિયા સામે એફઆઈઆર નોંધી હતી. આંકલાવ કોર્ટ દ્વારા સાસુ મરણ જતા તેને એબેટ કરી પાંચ સાસરિયાઓને તકસીવરવાન ઠરાવી ત્રણ વર્ષની સજા અને વળતર પેટે ફરિયાદીને ૪૦ હજારની રકમ ચુકવવાનો હુકમ કર્યો હતો.
આંકલામાં રહેતા મુમતાઝબીબીના લગ્ન વર્ષ ૨૦૦૦માં વડોદરા ખાતે થયા હતા. લગ્ન બાદ તેમના પતિ ખુર્શીદઅહેમદ નઝરખાન ઠાકોરના પરિવાર સાથે રહેવા ગયા હતા. તેણીને એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો હતો. ત્યાર બાદ તેણીના સાસરીયા રુકૈયાબીબી, નઝરખાન, મુનીરસાબ રાઠોડ, આઈશીબીબી રાઠોડ, ગુલાબ અહેમદ રાઠોડ દ્વારા તેના પતિને ચઢામણી કરી દહેજની માંગણી કરાવતા હતા.
તેના પતિ અને સાસરીયા દ્વારા તેણીને ૨૦૦૫ના વર્ષમાં માર મારી ઘરેથી કાઢી મુકી હતી.ત્યાર બાદ તેણીએ વર્ષ ૨૦૦૬માં આંકલાવમાં તેણીના સાસરિયાઓએ છુટાછેડા લેવા માટે દબાણ કરતા આણંદ મહિલા પોલીસ મથકે સાસરિયા સામે શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધકધારા પ્રમાણે ગુનો નોંધ્યો હતો.
આ કાર્યવાહી આંકલાવ કોર્ટમાં ચાલી જતા સરકાર તર્ફે મૌખિક પુરવા રુપે ૧૦ સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા.જ્યારે પાંચ દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ આરોપીઓ ખુર્શીદ અહેમદ નઝરખાન ઠાકોર, નઝરખાન ઈસબખાન ઠાકોર, ગુલામ અહેમદ મહેબુબખાન રાઠોડ, આઈશાબીબી મુનીરસાબ રાઠોડ અને મુનીરસાબ બિસ્મીલ્લાહખાન રાઠોડને તકસીવાન ઠરાવ્યા હતા.
જ્યારે ખુર્શીદએહમદ ઠાકોર, ગુલામ અહેમદ રાઠોડ, મુનીરસાબ રાઠોડને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા દરેક આરોપીએ ૧૦,૦૦૦ની રકમ દંડ પેટે ફરિયાદીને ચુકવવાનો હુકમ કર્યો હતો. તેમજ આરોપી નઝરખાન ઈસબખાન ઠાકોર, આઈશાબીબી મુનીરસાબ રાઠોડ ને ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા દરેક આરોપીઓ ૫,૦૦૦ની રકમ દંડ પેેટે ફરિયાદીને ચુકવાનો હુકમ કર્યો હતો. કોર્ટ દ્વારા મરણજનાર રુકૈયાબીબી ચાલુ કાર્યવાહી દરમિયાન મરણ જતા તેને એબેટ કરી હતી.