શાસ્ત્રી ડિવિઝનમાં સર્વેની કામગીરી પૂર્ણ
સરદાર ડિવિઝનના ૪૨ હજાર વીજ ગ્રાહકોના સર્વેની કામગીરી હાથ ધરાઈ
આણંદ એમજીવીસીએલ તંત્ર દ્વારા શહેરના શાસ્ત્રી ડિવિઝન હસ્તકના ૬ વિસ્તારમાં ૩૩ હજાર વીજ ધારકોના સર્વેની કામગીરી પૂર્ણ કરી દીધી છે. તેમજ સરદાર ડિવિઝનના ૪૨ હજાર વીજ ગ્રાહકોના સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. જે પૂર્ણ થતાં વીજ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ૧૦ હજારથી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાશે. આણંદ શહેરમાં આવેલા શાસ્ત્રી ડિવિઝન હસ્તકના કુલ ૩૩ હજાર વીજ ધારકો તંત્રના ચોપડે નોંધાયેલા છે અને સરદાર ડિવિઝનના ૪૨ હજાર ગ્રાહકો છે. ત્યારે એમજીવીસીએલની ટીમો દ્વારા રહેણાંક વિસ્તારોના સર્વેની કામગીરી હાથ ધરી સ્માર્ટ મીટર સંદર્ભે ડોર ટુ ડોર સમજ આપવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ટૂંક સમયમાં જીટોડીયા રોડ, ગોપી ટોકિઝ વિસ્તાર, મંગળપુરા રોડ સહિત પ્રથમ તબક્કામાં ૧૦ હજારથી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવશે. ૬ માસમાં સ્માર્ટ ઈલેક્ટ્રીક મીટરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
જેને લઈ ગ્રાહક પોતે ઓનલાઈન મોબાઈલથી કાર્ડની જેમ સ્માર્ટ વીજ મીટર રીચાર્જની સુવિધા મેળવી શકશે. સ્માર્ટ મીટરથી વીજ વપરાશના દૈનિક ડેટા પણ જાણી શકાશે.