૫૦ જેટલા ગામના લોકો હાલાકી ભોગવવા મજબૂર
દરખાસ્ત મંજૂર ન થવાથી ડાઈવર્ઝન નહીં બનાવી શકાય : તંત્ર ચોમાસા પહેલા ડાઈવર્ઝન નહીં તો આંદોલનની લોકોની ચિમકી
કપડવંજ: કપડવંજના વેટાવાડા ગામ પાસે વરાશી નદીનો પુલ જર્જરિત અને ભયજનક થઈ જવાના લીધે બંધ કરાયો છે. પરંતુ અહીં કોઈ ડાઈવર્ઝન નહીં અપાતા ૫૦ જેટલા ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દરખાસ્ત મંજૂર ન થવાના લીધે ડાઈવર્ઝન બનાવી શકાય તેમ નથી તેવું કહી રહ્યું છે. જેથી રોષે ભરાયા આસપાસના ગ્રામજનોએ ચોમાસા પહેલા ડાઈવર્ઝન નહીં અપાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
કપડવંજ તાલુકાના બેટાવાડા ગામ નજીક વરાશી નદીનો પુલ જર્જરિત તેમજ ભયજનક હાલતમાં હોવાથી ત્રણ મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે આ રોડ પર પસાર થતા અંદાજિત નાના મોટા તેમજ પરા વિસ્તારના ૫૦ જેટલા ગામના દૈનિક સંખ્યાબંધ રાહદારીઓ, વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. વર્ષો જુના પુલ નીચેથી વરાશી નદી પસાર થાય છે, પરંતુ આ પુલના પાયા નબળા પડી ગયા હોવાથી તૂટી પડવાના ભયથી તાત્કાલિક આ પુલ ઉપરની અવરજવર બંધ કરવામાં આવી હતી. પરંતુ આ પુલ જર્જરિત બન્યાના નજીકના સમયમાં જ આચાર સહિત લાગુ પડતા પુલનું કામ શરૂ કરી ન શકાયું. હવે જ્યારે આચાર સહિતા પૂરી થતા જ ચોમાસું આવતું હોવાથી હજી પણ અંદાજે પાંચ મહિના સુધી આ પુલનું કામ કરી ન શકાય તેવી શક્યતાઓ રહેલી છે. ત્યારે ૫૦ જેટલા ગામના ગ્રામજનોને અંદાજે ૩ થી ૪ કિ.મી. બેટાવાડા ગામમાંથી પસાર થઇ નીરમાલી તરફ લાંબું અંતર કાપતા રાહદારીઓ અને વાહન ચાલકો ને હજુ પાંચથી છ મહિના આથક, માનસિક અને શારીરિક નુકશાન વેઠવું પડશે.
ઉપરાંત આ બાબતે ઉચ્ચકક્ષા સમક્ષ ડાયવર્ઝન બનાવવા માટે રજુઆત કરવા છતાં ડાયર્વજન ન આપતા આસપાસના ગ્રામજનોમાં રોષે ભરાયા છે અને ચોમાસા પહેલા ડાઈવર્ઝન નહીં બનાવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે આ બાબતે પીડબલ્યુડી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ પુલ નજીક ડાયવર્ઝન માટે ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત કરવામાં આવી હતી, પંરતુ દરખાસ્ત મંજૂર ન થઈ હોવાથી ડાયવર્ઝન બનાવી શકાય તેમ નથી.