રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની સત્યતા જાણવા માટે રાજ્ય સરકારે સીટની રચના કરી છે તેમ છતાંય સીટ સામે આંગળી ચિંધાઈ છે. ગુજરાત હાઈકોર્ટે પણ સીટને લઈને ફટકાર આપી છે જેના પગલે સરકારમાં રીતસર દોડધામ મચી છે. હાઇકોર્ટના આદેશ પછીય નવી કંમિટીની રચના માટે સરકાર ડ્રામાબાજી કરી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. આ બધુય જોતા લાગી રહ્યુ છેકે, ભાજપ સરકારને ગમ ઝોનના આરોપી-કૌભાંડી અધિકારીઓને બચાવવામાં જ રસ છે. પણ પિડીતોને ન્યાય મળે તે માટે સરકારને કઈ પડી નથી.
હાઈકોર્ટ પણ ગુજરાત સરકારને ફટકાર આપી
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સરકાર સામે દિને દિને રોષ ભભૂક્યો છે તેનુ કારણ છેકે, પિડીત પરિવારોને ન્યાયની આશા રહી નથી. જે રીતે સીટ તપાસ કરી રહી છે તે જોતાં રાજકોટ વાસીઓને લાગી રહ્યું છેકે, ગેમ ઝોનના આરોપીઓ અને કૌભાંડી અધિકારીઓને ઉની આંચ આવવાની નથી. આ જોતાં હાઈકોર્ટ પણ ગુજરાત સરકારને ફટકાર આપી છે. એટલુ જ નહીં, નવી કમિટી રચવા આદેશ કર્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ હવે પિડીત પરિવારોને ન્યાય મળે તેવો હાશકારો થયો છે.
ભાજપના નેતાઓ પણ સંડોવાયેલાં
રાજકોટ અગ્નિકાંડમાં કેટલાંય ભ્રષ્ટ અધિકારીઓથી માંડીને ભાજપના નેતાઓ પણ સંડોવાયેલાં છે. જો નિષ્પક્ષ તપાસ થાય તો છેક ભાજપના જ માથે કાળી ટીલી લાગે તેમ છે. એટલે જ સીટમાં મળતિયા અધિકારીઓને તપાસ અધિકારી તરીકે મૂકાયા છે. આ કારણોસર જ હાઇકોર્ટે લાલ આંખ કરવી પડી છે. હવે સરકારના ગળે બરોબરનું હાડકુ ભરાયુ છે.
મગરમચ્છોને નવી કમિટી સમક્ષ હાજર થવુ પડશે
ઉલ્લેખનીય છેકે, રાજકોટ અગ્નિકાંડની તપાસ ચાલી રહી છે ત્યારે કેટલાંક ઉચ્ચ અધિકારીઓ સીટને પણ ગાંઠતા નથી. પૂછપરછ માટે અધિકારીઓ હાજર થતા જ નથી. નાની માછલી તો પકડાઈ પણ હવે હાઈકોર્ટના આદેશ બાદ અગ્નિકાંડમાં સંડોવાયેલાં મોટા મગરમચ્છોને નવી કમિટી સમક્ષ હાજર થવુ પડશે.
સરકાર સામે પ્રજાઆક્રોશ વધુ ભભૂકશે તે નક્કી
હવે સત્યશોધક નવી કમિટી અગ્નિકાંડમાં શું નવા ખુલાસા શોધશે અને નવા આરોપીઓને પકડશે તે સમય જ કહેશે પણ અત્યારે હાઈકોર્ટના આદેશને પગલે સરકારે ના છૂટકે નવી કમિટી બનાવવા મજબૂર થવુ પડ્યું છે. રાજકોટ અગ્નિકાંડના પિડીતોને ન્યાય મળે તે દિશામાં સરકારે પ્રમાણિક પગલાં લેવા પડશે નહીતર સરકાર સામે પ્રજાઆક્રોશ વધુ ભભૂકશે તે નક્કી છે.
કમિટી રચવામાં સરકાર બેઠકોનો દેખાડો કરે છે
આ તરફ, હાઈકોર્ટની ફટકાર પછી ય સરકાર નવી કમિટી રચવા માટે હવાતિયા મારી રહી છે. છેલ્લા બે દિવસથી સચિવાલયમાં બેઠકોનો દોર જામ્યો છે. ચર્ચા એવી છેકે, જો કોઈ મળતિયા બિઝનેસમેન કે જમીન માફિયાની ફાઈલ હોય, સાંઠગાંઠ ધરાવતો કોન્ટ્રાકટર હોય તો ગણતરીના કલાકમાં જ ફાઇલ- બિલ પાસ થઈ જાય, રાતોરાત ઓર્ડર થઈ જાય પણ પિડીતોને ન્યાય આપવાની વાત હોય તો સરકારને જાણે કઈ સુઝતુ નથી. ખરેખર સરકારને નિષ્ઠાપૂર્વક કામ જ કરવું હોય તો બે- પાંચ અધિકારીઓની નિમણૂંક કરી સત્યશોધક કમિટીની જાહેરાત કરતાં કેટલી વાર લાગે? પણ એવુ નથી.
વ્યક્તિગત કામો રાતોરાત થઈ જાય છે
સરકારને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં દિવસો વિતી જાય છે. બાકી તો વ્યક્તિગત કામોનો કોઈને ગંધ ન આવે તેમ રાતોરાત થઈ જાય છે. રાજકોટ અગ્નિકાંડમાં મુખ્યમંત્રીથી માંડીને ગૃહમંત્રીએ એક જ રટણ રટ્યુંકે, કોઈપણ ચમરબંધીને છોડવામાં નહી આવે પણ જે રીતે સીટની તપાસ આગળ વધી રહી છે તે જોતાં પિડીત પરિવારોએ પણ ન્યાયની આશા છોડી દીધી છે. એવું કશુય થયું નહી જેથી રાજકોટ વાસીઓનો રોષ ટાઢો પડે. હવે જયારે હાઈકોર્ટે લાલ આંખ કરી સીટને કોરણે મૂકીને નવી કમિટી રચવા આદેશ કર્યો છે જેના પગલે પિડીતોને આશા જાગી છે.