બોટાદના યુવાને પુત્રના અભ્યાસ માટે વ્યાજે પૈસા લીધા હતા
યુવાન હાલ ભાવનગર દવાખાને સારવારમાં : બોટાદ પંથકના કાનિયાડ ગામના 1 અને તરઘરાના 4 સહિત 6 શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ
ભાવનગર : બોટાદના યુવાને પોતાના પુત્રના અભ્યાસ માટે અલગ-અલગ શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી થતી હોવાને કારણે યુવાને એસિડ પી લેતા તેને સારવાર અર્થે પ્રથમ બોટાદ અને બાદમાં ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ છે. બનાવ અંગે બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે છ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર મૂળ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબડીગામના અને હાલ બોટાદના ખોડીયારનગર-૧ ખાતે રહેતા ભરતભાઈ વેલાભાઈ મેણીયાએ બોટાદ પોલીસ મથકમાં ૬ શખ્સ વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ભરતભાઈએ તેના દીકરાના અભ્યાસ માટે આજથી ત્રણેક માસ પહેલા કરમશીભાઈ રબારી (રહે. કાનિયાડ, તા.બોટાદ) તથા હનુભાઈ દરબાર (રહે. તરઘરા, તા.બોટાદ) તથા ધમભા દરબાર (રહે. તરઘરા, તા.બોટાદ) તથા રઘુભાઈ વિનુભાઇ દરબાર (રહે.તરઘરા, તા.બોટાદ) તથા હર્ષદભાઈ રબારી (રહે. બોટાદ) તથા રામકુભાઇ દરબાર (રહે. તરઘરા, તા.બોટાદ) પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજે આપેલા પૈસાના વ્યાજ માટે છ શખ્સો સતત પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા.
દરમિયાનમાં, હનુભાઈ અને રઘુભાઈ વ્યાજના પૈસાની બદલીમાં ભરતભાઈનું બાઈક પણ લઈ ગયા હતા અને વારંવાર વ્યાજના રૂપિયા ની પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હતા. વારંવાર વ્યાજના પૈસાની ઉઘરાણી થતા ભરતભાઈ માનસિક રીતે થાકી ગયા હતા અને ઉઘરાણીના ટેન્શનમાં ઘર પાસે આવેલી દુકાનેથી બાથરૂમ સાફ કરવાની એસિડની બોટલ ખરીદી લાવીને ઘરમાં જઈ એકાદ ઢાંકણા જેટલું એસિડ પી લીધું હતું. આથી ભરતભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ગંભીર હાલતે પ્રથમ સોનાવાલા હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભરતભાઈએ બોટાદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના અનુસંધાને પોલીસે છ શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૪, ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનીયમ કલમ ૩૩(૩), ૪૨(ડી) મુજબ ગુનો દાખલ કર્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.