મોટા ટેરર મોડયુલનો પર્દાફાશ થઈ શકે : NIA
વિસ્ફોટ કરનારાઓને વિદેશથી સૂચનાઓ મળી, બંને આતંકવાદીઓ મોટા ટેરર મોડયુલનો હિસ્સો છે
નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસના આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. બેંગ્લુરુમાં આવેલા રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસમાં અબ્દુલ મતીન તાહા અને મુસાવિર હુસૈન જાહેબની બંગાળમાંથી કોલકાતામાંથી ધરપકડ કરવામાં આવી હતી.શાઝિબે આઇઇડી મૂક્યો હતો અને તાહા બ્લાસ્ટના આયોજન અને કાવતરાનો મુખ્ય સૂત્રધાર હતો.
એનઆઇએ તરફથી રજૂઆત કરતાં સ્પેશ્યલ પ્રોસીક્યુટર દેબાશિષ મલિક ચૌધરીએ જણાવ્યું હતું કે સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે મુખ્ય આરોપી અને સહઆરોપી માટે ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપ્યા છે અને તેના પછી તેમને બેંગ્લુરુની સ્પેશ્યલ એનઆઇએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હજી પણ એક આરોપી ફરાર છે. આ ઉપરાંત લેપટોપ, મોબાઇલ ફોન, સિમ કાર્ડ અને અન્ય ડિજિટલ સર્વિસિસ જપ્ત કરવામાં આવી છે.
બંને આરોપી કર્ણાટકના શિવમોગા જિલ્લાના તીર્થહલ્લી વિસ્તારના રહેવાસી છે. બેંગ્લુરુના વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટમાં દસને ઇજા પહોંચી હતી. બ્લાસ્ટ પછી કર્ણાટક પોલીસે સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદને જોયો હતો, જેણે આઇઇડી ડિવાઇસની મદદથી આ વિસ્ફોટને અંજામ આપ્યો હતો.
એનઆઇએ ત્રીજી માર્ચના રોજ આ કેસ હાથ પર લીધો હતો. એનઆઇએએ થોડા દિવસમાં આ બોમ્બ મૂકનારાનું ચિત્ર જારી કર્યું હતું. તેના પર દસ લાખ રુપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. મુઝમ્મિલ શરીફ ચિકમંગલૂરના ખાલસાનો રહેવાસી છે. તેણે મુખ્ય આરોપીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડયો હતો. તેને ૨૬ માર્ચે પોલીસ કસ્ટડીમાં લેવાયો હતો અને તેની પૂછપરછ ચાલી રહી છે.
મુસબ્બિર હુસૈન અને અબ્દુલ મતીનને વિદેશી હેન્ડલર્સ પાસેથી સૂચનાઓ મળી રહી હતી. આ અંગે એનઆઇએનું કહેવું છે કે તેઓ એક મોટા આતંકવાદી મોડયુલનો હિસ્સો છે. તેમની ધરપકડથી મોટા ટેરર મોડયુલનો પર્દાફાશ થશે. સ્લીપર સેલના આ લોકો લાંબા સમયથી એક્વિટ હતા. અબ્દુલ મતીન આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. આ સંગઠને ૨૦૧૯માં તમિલનાડુમાં હિંદુવાદી નેતાની હત્યા કરી હતી.આ સિવાય બીજા કેટલાક આતંકવાદીઓ પર એનઆઇએની નજર છે અને જેની તે ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.