વડોદરા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે વિશ્વામિત્રી, ઢાઢર, નર્મદા અને મહીસાગર નદીમાં આવેલ પૂરને કારણે પશુઓ પણ પ્રભાવિત થયા હતા. જેને અનુલક્ષીને વડોદરા જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા તાત્કાલિક ધોરણે કુલ 12 ટીમો બનાવી તાલુકાઓના અસરગ્રસ્ત ગામોમાં સારવાર, સર્વેલન્સ તથા રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું નાયબ પશુપાલન નિયામકએ જણાવ્યું છે.
પશુપાલન શાખા દ્વારા જિલ્લાના પૂર અસરગ્રસ્ત ગામોના 1906 પશુપાલકોના 8529 પશુઓમાં કૃમિનાશક દવાનું વિતરણ કરવા સાથે 2346 પશુપાલકોના કુલ 14,308 પશુઓમાં ગળસુંઢા રોગ વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત 162 પશુઓની સારવાર કરવામાં આવી છે. જિલ્લાના પૂરગ્રસ્ત ગામોમાં પશુઓને રોગ સામે રક્ષણ આપવા પશુપાલન શાખા દ્વારા પશુ સારવાર અને રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. પશુપાલન શાખા દ્વારા ડભોઈ તાલુકાના ગોજાલી, અંબાવ વસાહત, દાંગીવાડા, કરાલીપુરા ગામોમાં બીમાર પશુઓની સારવાર તથા પશુઓમાં ડિવર્મિંગની કામગીરી કરવામાં આવી હતી. ડભોઈ તાલુકાના અંગુઠન ગામે પશુઓને ગળસુંઢાની રસી આપી રોગ સામે રક્ષિત કરવામાં આવ્યા હતા.