સુરત પાલિકામાં સમાવવામાં આવેલી ઈચ્છાપોર સ્કૂલમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતું હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાલત દયનીય થઈ રહી છે. પાલિકાની ઈચ્છાપોર શાળામાં ચાર રૂમમાંથી બે રૂમમાં પાણી ટપકે, આચાર્યની ઓફિસમાં વિદ્યાર્થીઓને બેસાડવા પડે છે તેવી સ્થિતિ છે. બાળકો માટે ઘાતક એવા ચાંદીપુરા રોગની સુરતમાં એન્ટ્રી થઈ છે અને પાલિકાએ લોકોને તકેદારી રાખવા માટે સૂચના આપી છે. તો બીજી તરફ પાલિકાની શાળામાં જ પાણી ભરાતું હોવાથી વિદ્યાર્થીઓ માટે ખતરો ઉભો થઈ રહ્યો છે.
સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ જિલ્લા પંચાયત હસ્તકની શાળાનો પાલિકામાં સમાવેશ કરવામા આવ્યો છે. આ વિસ્તારની શાળા નવી બનાવવા માટે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલ જે શાળા છે તેની હાલત કફોડી થઈ રહી છે. તેમાં પણ હાલ ચોમાસા દરમિયાન અનેક શાળામાં વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે. શિક્ષણ સમિતિની વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ આજે ઈચ્છાપોર શાળાની મુલાકાત લીધી હતી અને ત્યાંની દયનીય સ્થિતિ ત્વરિત સુધરે તેવી માગણી કરી છે.
હીરપરાએ શાળાની મુલાકાત બાદ કહ્યું છે કે, હાલમાં સુરતમાં ચાંદીપુરા રોગની એન્ટ્રી થઈ છે. આ રોગનો ભોગ નાના બાળકો બનતા હોય છે તેથી તેઓની વધુ તકેદારી રાખવાની હોય છે. ઘરે તો વાલીઓ તકેદારી રાખે છે પરંતુ શાળામાં પાલિકાએ તકેદારી રાખવાની હોય છે. પરંતુ ઈચ્છાપોર શાળામાં સ્થિતિ કંઈક અલગ છે. શાળા રોડ કરતા નીચાણવાળા ભાગમાં હોવાથી વરસાદનું પાણી શાળામાં આવે છે અને પાણીનો ભરાવો થાય છે. તેના કારણે મચ્છરજન્ય રોગ સાથે હાલમાં ચાંદીપુરાનો ખતરો પણ બાળકોને રહેલો છે.