વર્ષ 2019 ની તુલનામાં પોણા 2 ટકા મતદાન ઘટયું
કોંગ્રેસનો ગઢ ગણાતી આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ 70.72 ટકા મતદાન નોંધાયું
આણંદ : કાળઝાળ ગરમી વચ્ચે મતદાનની ટકાવારી ઘટશે તેવી શક્યતા હતી પરંતુ ૪૦ ડી.સે. તાપમાન વચ્ચે ગત રોજ આણંદ સંસદીય મતવિસ્તારની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૬૫.૦૪ ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ગત ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૬૬.૭૯ ટકા મતદાન નોંધાયું હતું જેની સરખામણીએ ચાલુ વર્ષના મતદાનમાં પોણા બે ટકાનો ઘટાડો દર્શાવે છે. જો કે આણંદ જિલ્લાની સાત વિધાનસભાના શહેરી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ ઓછું મતદાન થયું હોવાની વાતે રાજકીય પક્ષમાં ચિંતા વધારી છે.
મતદાનના દિવસે સવારના સમયગાળા મતદાનનો પ્રવાહ ધીમો રહેતા સવારના ૭-૦૦ કલાકથી ૯-૦૦ વાગ્યાના બે કલાકના સમયગાળામાં આણંદ જિલ્લામાં કુલ મતદાન ૧૦.૩૫ ટકા નોંધાયું હતું. જો કે બપોરના સમયગાળા દરમ્યાન આકરી ગરમી વચ્ચે આશ્ચર્યજનક રીતે મતદાનમાં વધારો નોંધાયો હતો.
ગત લોકસભાની ચૂંટણીમાં આંકલાવ બેઠક પર જેમ સૌથી વધુ મતદાન થયું હતું તેવી જ રીતે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ ૭૦.૭૨ ટકા મતદાન નોંધાયું હતું.
જ્યારે સૌથી ઓછું ૬૦.૫૧ ટકા મતદાન આણંદમાં નોંધાયું હતું. આજે ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ આણંદ જિલ્લામાં ૬૫.૦૪ ટકા મતદાનને લઈ રાજકીય પક્ષોમાં પણ અસમંજસતા જોવા મળી રહી છે.
ચૂંટણી પૂર્વે વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા કેટલાક નેતાઓ મતદાનના ફાઈનલ આંકડા બાદ ચૂપકિદી સેવી રહ્યાં હોવાની ચર્ચાઓ વચ્ચે આણંદ લોકસભાનું ચોંકાવનારું પરિણામ આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આંકલાવના સીટીંગ ધારાસભ્ય અમિતભાઈ ચાવડાને ટિકીટ ફાળવવામાં આવી હતી તો બીજી તરફ ભાજપે વર્તમાન સાંસદ મિતેષભાઈ પટેલને રીપીટ કર્યા હતા. જો કે રૂપાલા વિવાદને લઈ ભાજપને ચૂંટણી પ્રચાર દરમ્યાન ક્ષત્રિય સમાજની નારાજગીનો સામનો કરવો પડયો હતો. રાજકીય વિશ્લેષકોના મતે મતદાનમાં વધારો થાય તો તે ભાજપને ફળશે. ત્યારે ગત લોકસભાની સરખામણીમાં હાલની લોકસભા ચૂંટણીના મતદાનમાં પોણા બે ટકા જેટલો ઘટાડો દર્શાવતા આંકડા જોવા મળ્યા હતા.
આણંદ બેઠકમાં કુલ મતદાનના આંકડા