આજે 18મી લોકસભાના પ્રથમ સત્રના બીજો દિવસે પણ શપથ ગ્રહણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે લોકસભા સ્પીકર પદ માટે સત્તાધારી NDA અને વિપક્ષી ગઠબંધન વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી. આ સાથે જ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. એનડીએ તરફથી ઓમ બિરલા અને વિપક્ષી ગઠબંધન તરફથી કે. સુરેશ લોકસભા સ્પીકર પદના ઉમેદવાર હશે.
અમારી સલાહ લેવામાં આવી નથી : TMC
કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધન વતી સ્પીકર પદ માટે કે. સુરેશના નામની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ આ અંગે ઈન્ડિયા ગઠબંધનમાં સર્વસંમતિ હોય તેમ લાગતું નથી. આ અંગે તૃણમૂલનું કહેવું છે કે ‘લોકસભા સ્પીકર પદ માટે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારને મેદાનમાં ઉતારવા અંગે તૃણમૂલ તરફથી કોઈ સલાહ લેવામાં આવી નથી.’
લોકસભામાં નંબર ગેમ શું છે?
લોકસભામાં નંબર ગેમની વાત કરવમાં આવે તો 2014 અને 2019ની સરખામણીમાં આ વખતે રસપ્રદ મુકાબલો છે. એનડીએની આગેવાની કરી રહેલી ભાજપને આ વર્ષે બહુમત મળી નથી. જો કે 240 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે. લોકસભામાં એનડીએનું સંખ્યાબળ 293 છે. જ્યારે વિપક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસ 99 બેઠકો જીતી હતી. જો કે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દેતા હવે તેનું સંખ્યાબળ 98 થઈ ગયું છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતૃત્વવાળી ઈન્ડિયા ગઠબંધન પાસે 233 સાંસદો છે. આ ઉપરાંત સાત અપક્ષ સહિત અન્ય 16 લોકો પણ ચૂંટણી જીતીને સંસદ ભવનમાં પહોંચ્યા છે.
કોંગ્રેસે ઓમ બિરલા સામે કે. સુરેશને મેદાનમાં ઉતાર્યા
દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઓમ બિરલા એનડીએ તરફથી સ્પીકર ઉમેદવાર હશે, જ્યારે કે. સુરેશને I.N.D.I.A ગઠબંધનમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. હવે લોકસભા સ્પીકર પદ માટે આવતીકાલે (26 જૂન) સવારે 11 વાગ્યે મતદાન થશે.
વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે
બીજેપી સાંસદ પંકજ ચૌધરી ઓમ બિરલાના પ્રસ્તાવક બની શકે છે. ઓમ બિરલા થોડીવારમાં જ સ્પીકર પદ માટે નોમિનેશન ફાઈલ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે.
‘અમે સ્પીકર પદ પર સરકારને સમર્થન આપીશું’
આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ‘રાજનાથ સિંહે મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી હતી. રાજનાથ સિંહને કહ્યું છે કે ‘અમે સ્પીકર પદ માટે તેમના ઉમેદવારને સમર્થન આપીશું, પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષ પાસે જવું જોઈએ.’