‘જય રણછોડ..માખણ ચોર..’ના ગગનભેદી નાદ સાથે ભવ્ય રથયાત્રા નીકળી
ઠાકોરજી નગરચર્યાએ નીકળતા દર્શન, ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો માહોલ જોવા મળ્યો
ડાકોર : અષાઢી બીજને રવિવારના દિવસે ગુરૂપુષ્ય નક્ષત્રમાં ડાકોરમાં ઠાકોરજીની આજ્ઞાા માળા ધારણ કરાવીને ગોપાલલાલજીને તિલક કરવામાં આવ્યું હતું. અને નવ વાગ્યાના અરસામાં ચાંદી પિત્તળનો રથ રથઘરમાંથી ડાકોરના નવયુવાનો દ્વારા બહાર લાવવામાં આવ્યો હતો. જે રથનું અધિવાશન વારદારી સેવકે કરીને ગોપાલલાલજીને ચાંદીના રથમાં આરૂઢ કરાયા હતા. મંદિર પરિસરમાં ૧૧ કુંજો વૈષ્ણવ ભાઈઆએ બનાવ્યા હતા તેમાં ગોપાલલાલજીની પધરામણી કરાવી આરતી ઉતારવામાં આવી હતી.
ભોગ ઘરાવીને જે વૈષ્ણવ દ્વારા કુંજ બનાવ્યો હતો તેમના પરિવારજનોએ આશીર્વાદ લીધા હતા. પછી ગોપાલલાલજીને ચાંદીની સવારીમાંથી પિત્તળ ના રથની સવારીમાં બેસાડીને સેવકો મંદિર પરિસરમાં ૧૧ પરિક્રમા ફેરવી હતી. અને મંદિરની બહાર મુખ્યગેટ પાસે જોતરે જોડવામાં આવ્યો હતો. ચાંદીના રથમાં ગોપાલલજી બેસાડીને રથયાત્રા તેના ૮ કિલોમીટરના રૂટ પર ભક્તો સાથે આગળ વધી હતી .
રથયાત્રા સાથે વર્ષોથી વડોદરાથી આવતી ભજન ભલત્રાસ મંડળી, ભાવસર મંડળી અને વૈદ્યરાજ મંડળીઓ ઢોલ નગારા સાથે જોડાયા હતા. મંદિર માંથી આવેલા ઘોડા ડંકા નિશાન અને ધજા પટાકા સુખપાલ પાલખી સોનાની ખુરશી અને ગોપાલલાલજીને સવારીમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનો લેવામાં આવ્યા હતા. અંતે રથયાત્રા આગળ રણછોડજીની ગૌશાળા તરફ વધી હતી. ગૌશાળામાં ગોપાલલાલજીને તેમની કામધેનુ ગયાના દર્શન કરાવી લાલબાગમાં લાવવામાંં આવ્યા હતા .પછી ત્યાં આરતી ભોગટેરા ઘરાવીને આગળ ત્રિકામજી મંદિર ભરત ભુવન દાઉદજી મંદિર નરસિંહ ટેકરી અને રાધાકુંડે ઠાકોરજીને રાધાજીની સાથે બેસાડી વિશ્રામ અપાયો હતો .
ત્યાંથી આગળનો રસ્તો જંગલ હોવાથી ગજરાજનો ઉપયોગ અગાઉ સમયમાં કરવામાં આવતો હતો પરંત આ વર્ષે મંદિર પ્રસાસને વ્યવસ્થા ના કરતા ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. રથયાત્રા આગળ મોખતલાવડી થઈ વાડફાર્મ તરફ બપોરના ૩ વાગ્યાના અરસામાં નીકળી હતી. અને ગોપાલલાલજીની સવારી વાડફાર્મ પહોંચી રથયાત્રા સાથે હાજરો શ્રદ્ધાળુઓ પણ પદયાત્રી બની જોડાયા હતા. અને ત્યાંથી રણછોડપુરા થઈ સમાધીએ બેઠકમાં આરતી ભોગટેરાની પ્રસાદી લઈને આગળ લક્ષ્મીજી મંદિરે ગયા હતા. ત્યાંથી સત્યભામા મંદિર થઈ ને પરત રણછોડજી મંદિરે સાંજે ૭ વાગ્યા અરસામાં રથયાત્રાની સવારી પરત ફરી હતી. જ્યાં મંદિરના મુખ્ય દરવાજો ગોપાલલાલજી અને મોટા ઠાકોરજીની આરતી ચાંદીની થાળીમાં કપૂરથી ઉતારવામાં આવી હતી. અને સેવક વારદારી દ્વારા કકું રાઈ પૈસા આખું મીઠું ચોખાથી નજર ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ગોપાલલાલજીને નિજમંદિરમાં લઇ જવામાં આવ્યા હતા. પછી રાબેતા મુજબ રાજભોગ ધરાવી મંદિરના નિત્યદર્શન આપી ઠાકોરજીને પોઢાડી દેવામાં આવ્યા હતા. આ રથયાત્રામાં કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નહતો . ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઠાકોરજીની ૨૫૨ મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.