‘નલ સે જલ’ પાછળ કરોડોનું આંધણ છતાં ગામ યોજનાથી વંચિત
દર ત્રીજા દિવસે માંડ 3 કલાક જ પાણી વિતરણ કરાતા છેવાડા અને ઊંચાણવાળા વિસ્તારોમાં પાણી માટે રઝળપાટ
નડિયાદ : નડિયાદ તાલુકામાં હાથજ ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ગામમાં દર ત્રીજા દિવસે માંડ ત્રણ કલાક પાણી આપવામાં આવે છે. તેમજ છેવાડાના તેમજ ઊંચાણવાળા વિસ્તારમાં પાણી પહોંચતું ન હોવાથી ગૃહિણીઓ પાણી માટે રઝળપાટ કરવા મજબૂર બની છે. ત્યારે સત્તાધીશો દ્વારા ગામમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા માંગણી ઊઠવા પામી છે.
નડિયાદ તાલુકાના હાથજ ગામ ૬૦૦૦થી ૭૦૦૦ની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં પીવાના પાણી માટે ગામથી દૂર વર્ષો જૂનું વોટરવર્કસ આવેલું છે. આ વોટરવર્કસથી ગામમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામમાં છેલ્લા ઘણા સમયથી દર ત્રીજા દિવસે રોટેશન મુજબ ત્રણ ત્રણ કલાક પાણી આપવામાં આવી રહ્યું છે. તેમાં વળી વર્ષો જૂની પાઇપ લાઇન હોવાથી છાસવારે તૂટી જતી હોય છે. બીજા દિવસે પાણી આપવામાં આવતું હોવાથી ગામમાં પાણી મેળવવા માટે લોકોને ભારે દોડધામ કરવી પડે છે. એમાં વળી ગામેગામ મોટાભાગના લોકો નળ ખુલ્લા રાખતા હોય છે, જેથી લોકોને ના છૂટકે પાણી મેળવવા મોટરોનો ઉપયોગ કરવો પડે છે. તેમજ ગામમાં છેવાડે તેમજ ઉંચાણના વિસ્તારમાં લોકોના નળમાં પાણી પહોંચે તેની ગણતરીની સમયમાં પાણી બંધ થઈ જતું હોવાથી ગૃહિણીઓને પાણી માટે વલખાં મારવાનો વારો આવે છે.
સરકાર દ્વારા પીવાના પાણીની સુવિધા માટે નલસે જલ તક જેવી યોજનાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાથજ ગામ સરકારની પાણી યોજનાના લાભથી વંચિત રહેવા પામ્યું છે. દર ચૂંટણી ટાણે પાણીનો પ્રશ્ન હલ કરવાના વચનો આપવામાં આવી રહયા છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચુંટણી બાદ પ્રજાને આપેલા વચનો વિસરી જતા હોઇ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સત્તાધીશો દ્વારા નિયમિત પીવાનું પાણી પૂરું પાડવા યોગ્ય વ્યવસ્થા ગોઠવવા ગ્રામજનોમાંથી માંગણી ઊઠવા પામી છે.
નાનાવગામાં પાણી પુરવઠા યોજના વહેલી તકે શરૂ કરવા માંગ
મહુધા વિધાનસભા વિસ્તારના ગામોમાં પીવાની પાણીની સુવિધા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા નાનાવગા ગામ ખાતે ૨૫ લાખ ક્યુસેક પાણીની ક્ષમતાવાળી ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આજુબાજુના ગામોમાં પાણી પહોંચાડવાની યોજના છે. પરંતુ નાનાવગા પાણી પુરવઠા યોજનાનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું હોવાથી આ યોજના હેઠળ પાણી વિતરણ ક્યારથી શરૂ થશે તેને લઈ પ્રજામાં પ્રશ્નો ઉઠવા પામ્યા છે.