નેપાળના કાઠમંડુ (Kathmandu)થી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ત્રિભુવન એરપોર્ટ (tribhuvan airport) પર ટેક ઓફ દરમિયાન એક વિમાન ક્રેશ થઇ ગયું. આ ઘટના બનતાં જ વિમાન જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઇ ગયું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે. જોકે પાયલટનો બચાવા થયો છે અને તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
વિમાન પોખરા માટે ઉડાન ભરી રહ્યું હતું
આ વિમાન સૂર્યા એરલાઈન્સનું હોવાનું સામે આવ્યું છે. કાઠમંડુમાં આવેલા ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે. આ વિમાન પોખરા માટે ઉડાન ભરી રહ્યું હતું. વિમાનમાં ફક્ત એરલાઇન્સનો ટેક્નિકલ સ્ટાફ હોવાની માહિતી મળી રહી છે. જોકે તેમાં કોઈ મુસાફર મુસાફરી કરી રહ્યું નહોતું. આ માહિતી ખુદ એરપોર્ટના ઈન્ફર્મેશન ઓફિસરે આપી હતી. વિમાન જેવું જ ક્રેશ થયું તો જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઈ ગયું હતું અને એકાએક ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં સર્જાયા હતા.
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
સૂત્રોના જણાવ્યાનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. વિમાનમાં કુલ 19 લોકો સવાર હોવાની માહિતી મળી છે. હાલ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિમાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલવવામાં આવી રહ્યો છે.