આજે આંતરરાષ્ટ્રીય ફાયરફાઈટર્સ ડે : આગ, અકસ્માત, રેસ્ક્યૂની કામગીરીમાં ફાયર વિભાગ કરે છે લોકોની મદદ
ફાયર વિભાગની મુખ્ય કચેરી તથા મનપાની બે ઝોનલ કચેરીમાં ફાયરના 8 વાહનો તથા બે બોટ સાથે 47 લોકોનો સ્ટાફ 24X7 ફાયર સ્ટાફ તૈનાત
ભાવનગર : દુનિયામાં અગ્નિશામકોને તેમની સેવા માટે સન્માનિત કરવા તથા સેવા દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા અગ્નિશામકોને યાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય ફાયરફાઈટર્સ ડેની ઉજવણી ૪મી મે ના રોજ કરવામાં આવે છે. ફાયર વિભાગ આગ સિવાય પુર, અકસ્માત, કુદરતી હોનારતોમાં રેસ્ક્યૂની કામગીરી કરે છે. ભાવનગરમાં આગ, અકસ્માત જેવી ઘટનાઓમાં ત્રાણાય સેવામહેના સુત્ર સાથે લોકોની મદદે પહોંચવા માટે ફાયર વિભાગ 24X7 કામગીરી કરે છે.
આગ, અકસ્માત, કુદરતી હોનારતોમાં લોકોની મદદે પહોંચતા અગ્નિશામકોને તેમની સેવા માટે સન્માનિત કરવા તથા સેવા દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા અગ્નિશામકોને યાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય ફાયરફાઈટર્સ ડેની ઉજવણી ૪મી મે ના રોજ કરવામાં આવે છે. ભાવનગરમાં ઈમર્જન્સી પરિસ્થિતિને પહોંચીવળવા માટે ફાયર વિભાગ 24X7 તૈનાત રહે છે તથા શહેરના પૂર્વ અને પશ્ચિમની ઝોનલ કચેરીમાં બે શિફ્ટમાં ફાયર વિભાગ તૈનાત હોય છે. ભાવનગર ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસરથી લઈ ફાયરમેન સહિત કુલ ૪૭ લોકોનો સ્ટાફ છે. ભાવનગર ફાયર વિભાગ પાસે અગ્નિશામકના કુલ ૮ વાહનો તથા ૭ લોકો બેસી શકે તેવી કેપેસિટિ ધરાવતી ૨ બોટ છે. આ ઉપરાંતના વધુ ૪ નવા ફાયર ટેન્ડરની ઓર્ડર અપાયા છે જે આગામી દિવસોમાં આવી ગયા બાદ ઉપયોગમાં લેવાશે. આગ ક્યાં અને કેવી રીતે લાગી છે તેના આધારે જુદાં -જુદાં પ્રકારના વાહનો ફાયર વિભાગ મોકલે છે. ભાવનગર ફાયર વિભાગ પાસે કુલ ૮ વાહનો છે જે પૈકી ૨ મીની ફાઈટર, ૧ ફાયર ટેન્ડર, ૧ ફોમ ટેન્ડર, ૪ વોટર બાઉઝર છે. ફાયર વિભાગ આગ કાબૂમાં લેવા ઉપરાંત ફાયર રેસ્ક્યૂ, કુવા, તળાવ, ડેમમાં ડુબેલા લોકોનું રેસ્ક્યૂ કરવાની કામગીરી કરે છે તે ઉપરાંત વીવીઆઈપી બંદોબસ્તમાં પણ ફાયર વિભાગ જોડાય છે.
મોરબી અને સુરતના રેસ્ક્યૂમાં ભાવનગર ફાયર ટીમે કરી હતી કામગીરી
રાજ્યમાં સર્જાતી મોટી દુર્ઘટનાઓમાં રાજ્ય સરકારના આદેશથી ફાયર વિભાગ અન્ય શહેરોમાં સર્જાતી ઈમર્જન્સી સ્થિતિમાં પણ મદદે જાય છે. વર્ષ-૨૦૨૨માં મોરબી પુલ દુર્ઘટના વખતે ભાવનગર ફાયર વિભાગની સાત સભ્યોની ટીમ ૩ દિવસ રેસ્ક્યૂ કામગીમીમાં જોડાઈ હતી તથા સુરતમાં વર્ષ ૨૦૦૬માં આવેલા પુરમાં પણ ભાવનગર ફાયર વિભાગના ૧૪ સભ્યોની ટીમ ૧૮ દિવસ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ હતી.
આગની ઘટનાઓમાં લોકોનો સહકાર પણ જરૂરી
ભાવનગર ચીફ ફાયર ઓફિસર પી.આર.જાડેજાએ જણાવ્યું હતું કે, આગની ઘટનાઓની જાણ ફાયર વિભાગને કર્યાં પછી લોકોએ જ્યાં આગ લાગી હોય તે વિસ્તારમાંથી અડચણરૂપ થતાં વાહનો સાઈડમાં લઈ રસ્તો ક્લિયર રાખવો જોઈએ જેથી ફાયર વિભાગ વિના વિલંબે આગને કાબુમાં લેવાનું કામ કરી શકે તેમજ ઈમર્જન્સી કોલ પર જતાં ફાયરના વાહનોને રસ્તો કરી આપવો જેથી ટ્રાફિકની અડચણ વિના ઝડપથી વાહન પહોંચી શકે.