આરટીઆઇમાં પ્રાપ્ત આંકડામાં ખુલાસો થયો
ટ્રેનોમાં સીનિયર સિટીઝનને ભાડામાં મળતી 50 ટકા જેટલી રાહત કોરોના બાદ રદ કરી દેવામાં આવી હતી
રેલવેએ દેશના સીનિયર સિટીઝન એટલે કે વરીષ્ઠ વયના મુસાફરોને ભાડા અપાયેલી છૂટ પાછી ખેંચી લીધી હતી, એવુ કરીને રેલવેએ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. આ માહિતી આરટીઆઈમાં સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર રેલવેએ સીનિયર સિટીઝનને ભાડામાં અપાતી છૂટને પાછી ખેંચીને છેલ્લા ચાર વર્ષમાં 5800 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
આરટીઆઇમાં થયો ખુલાસો
મધ્ય પ્રદેશના નાગરિક ચંદ્ર શેખર ગૌરે આરટીઆઇ કાયદા હેઠળ રેલવે પાસે સીનિયર સિટીઝનના ભાડાની છૂટ બાદ આવક અંગે માહિતી માગી હતી, વિવિધ મુદ્દાઓ હેઠળ માગવામાં આવેલી માહિતીમાં જે જવાબ મળ્યો છે તે મુજબ 20 માર્ચ, 2020થી 31જાન્યુઆરી 2024 સુધીમાં રેલવેએ વધારાની 5875 કરોડ રૂપિયાની આવક મેળવી છે. આરટીઆઈ કરનાર ગૌરના જણાવ્યા અનુસાર રેલવેએ મને જણાવ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં 13 કરોડ પુરુષો, નવ કરોડ, મહિલાઓ, 33,700 ટ્રાન્સજેન્ડર સીનિયર સિટીઝને રેલવેમાં મુસાફરી કરીને રેલવેને 13,287 કરોડ રૂપિયા ચુકવ્યા.
કોરોના મહામારી પહેલા સીનિયર સિટીઝનને આપી હતી રાહત
આ પહેલા રેલવે મુસાફરીમાં મહિલાઓને ભાડામાં 50 ટકા જ્યારે પુરુષો અને ટ્રાન્સઝેન્ડરને 40 ટકા રાહત આપતી હતી. તેથી જે વધારાની કમાણીના આંકડા પ્રાપ્ત થયા છે તેની ગણતરી કરીએ તો આ રાહત રદ કર્યા બાદ રેલવેને 5875 કરોડ રૂપિયાની આવક થઈ છે. એટલે કે સીનિયર સિટીઝનોએ પણ આમ નાગરિકો જેટલુ જ ભાડુ ચુકવ્યું હતું. કોરોના મહામારી પહેલા રેલવેમાં સીનિયર સિટીઝનને આ રાહત આપવામાં આવતી હતી, જેને રેલવેએ વર્ષ 2020માં પાછી લઈ લીધી હતી. જ્યારે આ અંગે અગાઉ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને સવાલ કરાયો તો તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું અને દાવો કર્યો હતો કે રેલવેમાં દરેક નાગરિકોને પહેલાથી જ ભાડામાં રાહત આપવામાં આવેલી છે.