ડામરનું નામ-નિશાન ન રહેતા ધૂળના ગોટા ઉડે છે
3 થી 4 ફૂટના ખાડાના કારણે વાહન ચલાવવું મુશ્કેલ : જવાબદાર તંત્ર તાકીદે કામ શરૂ કરે તેવી માંગ
સિહોરથી ઘાંઘળી તરફ જતો છ કિ.મી.ના રોડ પર ઠેર-ઠેર ગાબડા પડી જતા ઉબડ ખાબડ રસ્તા પર વાહન ચલાવવું દુષ્કર બનેલ છે. આ બિસ્માર રોડના કારણે નાના-મોટા જીવલેણ અકસ્માતો પણ થતા હોય જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે રાહદારી ફિટકારની લાગણી જન્મી છે.
સિહોરથી ઘાંઘળી જતો ૬ કિલોમીટરનો રોડ સાવ તૂટી ગયેલ હોય, ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયેલ છે. દરેક વાહન હાલક ડોલક હાલતમાં ચાલતા હોય છે. થોડા દિવસ પહેલા એક યુવકે જીવ ગુમાવ્યો હતો. સિહોર શહેરની બે જીઆઇડીસી ત્યાં આવેલી છે. આ રોડ અમદાવાદ જવા તેમજ ઘાંઘળી, વલ્લભીપુર, નાના ગામડામાં જવા માટે લોકો ઉપયોગ કરે છે અને આ રોડ ૨૪ કલાક ધમધમતો રહેતો હોય છે. છથી સાત કિ.મી. લાંબા આ રસ્તા પર ડામરનું નામ નિશાન નથી. મોટા ખાડાઓ પરથી વાહનો ચાલે તો ધૂળના ગોટે ગોટા ઉડતા નજરે ચડે છે.
જેના કારણે વડીયા, ઉસરડ, ઘાંઘળી, નેસડા જેવા અનેક ગામ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજુબાજુના ગામડાના લોકો હટાણા માટે, ધંધા રોજગાર માટે, એમ્બ્યુલન્સ જેવા વાહનો કે જેમાં દર્દીની સ્થિતિ નાજુક હોય કે પ્રસુતિ માટે મહિલાઓને લઇ જતા અને આ રોડ પરથી પસાર થાય તો શું હાલત થાય તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે, હીરાના કારીગરો, મજુર વર્ગ મજુરી કરવા વિગેરે કામે જવા માટે આ રોડનો ઉપયોગ કરે છે. આ રોડનું ઉપરનું પડ તો સાવ ઉખડી ગયેલ હોય, અને રોડ સાવ નીચે બેસી ગયેલ છે. લોડીંગ વાહનોના લીધે મસમોટા ખાડાઓ પણ પડી ગયેલ છે. મોટાભાગના ખાડાઓ બેથી ત્રણ ફૂટ જેટલા મોટા છે.
જેમાં વાહન ચલાવવું જોખમી સાબિત થાય તેમ છે. સિહોરથી ઘાંઘળી પહોંચતા જે ૮ મિનીટ થતી હતી તેના બદલે આજે ૬ કિલોમીટરનું અંતર કાપતા ૩૫ થી ૪૦ મિનીટ જેવો સમય લાગે છે. આ રોડ પરથી સરકારી વાહનો પણ પસાર થાય છે. તો તેઓની નજર પણ આ રોડ પર નહીં પડતી હોય છતાં અંધેર તંત્રની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમાય રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ છે તો અંધેર તંત્ર પોતાની ઘેરી નિંદ્રામાંથી જાગી આ રોડનું કામ શરૂ કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.