પીએચસી સેન્ટરમાં રોજની 100 થી વધુ ઓપીડી
છેલ્લાં એક સપ્તાહમાં 150 થી વધુ લોકોને સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી
આણંદ : સોજિત્રા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને પાણીજન્ય રોગચાળાની ઝપેટમાં આવેલ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા મોટાભાગના દર્દીઓ સોજિત્રા પીએચસી સેન્ટર તથા અન્ય કેટલાક ખાનગી દવાખાનાઓમાં સારવાર લઈ રહ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
વધુમાં સોજિત્રા પીએચસીના ડોક્ટરના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહથી રોજની ૧૦૦થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. જેમાં ઝાડા ઉલટીની તકલીફવાળા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આવા દર્દીઓને દાખલ કરીને બોટલ ચડાવવી, ઈન્જેક્શન આપવા સહિતની સારવાર તબીબ દ્વારા કરવામાં આવી રહી છે.
છેલ્લા એક સપ્તાહ દરમ્યાન અંદાજીત ૧૫૦થી વધુ દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આપવામાં આવી હોવાનું તથા સામાન્ય બીમાર દર્દીઓને દવા આપી હોવાનું તબીબ દ્વારા જણાવાયું છે.સોજિત્રાના ચાર કુવા ભાગોળ, ધજા શેરી, વાઘરીવાસ સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે.
આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા અંગે ફરીયાદો કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ લક્ષ ન અપાયું હોવાનું જાગૃતો રોષ સાથે જણાવી રહ્યાં છે. વધુમાં આરોગ્ય સેન્ટરના કર્મચારીઓના મતે ખારાકુવા વિસ્તારના દર્દીઓમાં ઝાડા ઉલટીની સમસ્યા જોવા મળી હતી. આ રોગચાળા અંગે સમગ્ર રીપોર્ટ તૈયાર કરી અહેવાલ તાલુકા હેલ્થ ઓફીસરને મોકલવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સાથે સાથે તંત્ર દ્વારા ઘરે ઘેર સર્વેની કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સોજિત્રા નગરપાલિકાના વહિવટદાર અને મામલતદાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં ઝાડા ઉલટીની સમસ્યા અંગે આરોગ્ય વિભાગ સાથે સંપર્કમાં રહી વધુ દર્દીઓવાળા સ્થળો ઉપર સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. સાથે સાથે રોગચાળો વધુ વકરે નહીં તે માટે નાગરિકોમાં જાગૃતિ લાવવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.