બાલાસિનોર એસટી ડેપોની મનમાની સામે રોષ
ધોમધખતા તાપમાં 10 થી વધુ ગામના મુસાફરો રઝળપાટ કરી ખાનગી વાહનનો સહારો લેવા મજબૂર
વિરપુર : બાલાસિનોર એસ.ટી. ડેપોમાં આવતા વિરપુર તાલુકાની છેલ્લા ૨૦ વર્ષથી ધોળી ઘાટડા બસ ચલાવવામાં આવતી હતી. આ બસમાં પૂરતા પ્રમાણમાં મુસાફરો મળવા સાથે વધારે આવક ધરાવતી આ બસ હતી, છતાં આ બસ યેનકેન કારણે બંધ કરી દેવાતા આ રૂટના ૧૦થી વધારે ગામના મુસાફરો રઝળી પડયા છે.
બાલાસિનોર એસ.ટી.ડેપો દ્વારા વિરપુર તાલુકાના મુસાફરોને સગવડતાના ભાગરૂપે છેલ્લા ૨૦ વર્ષથી ધોળી ઘાટડા બસ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ બસ સેવા દર દિવાળી અને ઉનાળુ વેકેશનમાં બંધ કરી દેવામાં આવે છે. જેના લીધે તાલુકાના દસ જેટલા ગામોના મુસાફરોને અવર જવર કરવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઉપરાંત ધોળી ઘાટડા બસમાં વિદ્યાર્થીઓ સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતો પોતાના ખેતીકામ માટેના બીયારણ સહિતની ચીજવસ્તુઓની ખરીદી માટે વિરપુર આવતા હોય છે. પણ બાલાસિનોર ડેપોની મનમાનીના લીધે દર વર્ષે વેકેશન દરમિયાન અને જાહેર રજાઓમાં બસ બંધ કરી દેવામાં આવે છે.
વિરપુરથી ધોળી ઘાટડા જવા માટે ગામડાના લોકો માટે આ એક માત્ર બસ સુવિધા હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. ઉનાળાના ધખધખતા તાપમાં બપોરના સમયે લોકો ખાનગી વાહનોમાં જવા મજબૂર બન્યા છે. સાથે સવારની અને બપોરની આ એક બસ હતી તે પણ બંધ કરી દેતા ગ્રામ્ય વિસ્તારના ૧૦ જેટલા ગામડાઓના લોકોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે. ત્યારે બાલાસિનોર એસ.ટી. ડેપો દ્વારા ખાસ કિસ્સા તરીકે ધોળી ઘાટડા રૂટની બસ નવી કે જૂની ફાળવવામાં આવે તેવી સરપંચો સહિત ગ્રામજનોની માંગણી છે.