ભુજ, ગાંધીધામના ગેમ ઝોનમાં સવારથી તપાસનો ધમધમાટ જોવા મળ્યો
ભુજના ગેમઝોનમાં ફાયર એનઓસી મળી ૫રંતુ ઈલેક્ટ્રોનીક ખામી બહાર આવી, ભુજ તેમજ ગાંધીધામના ગેમ ઝોન પણ બંધ રાખવાના આદેશો
ભુજ: શનિવારે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ ભભુકી હતી જેમાં ૨૮ જિંદગી બળીને ખાખ થઈ ગઈ હતી. આ અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાતનું વહીવટી તંત્ર કુંભકર્ણી નિંદ્રામાં જાગ્યું છે. અધિકારીઓને હવે સેફટી યાદ આવી છે. ગત સાંજની ઘટના બાદ રાજયભરના ગેમ ઝોનમાં ચકાસણીના આદેશ થયા છે. જેના ભાગરૂપે આજે ભુજમાં પણ ડી માર્ટ પાસે આવેલા ગેમ ઝોનમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર, ફાયરબ્રિગેડના અધિકારીઓ, પીજીવીસીએલ, પોલીસ તેમજ આરએન્ડબીના અધિકારીઓ સહિતના વિભાગોની સંયુકત ટીમ દ્વારા આ ગેમ ઝોન સરકારના નિયમોનુસાર છે કે કેમ? ફાયર એનઓસી છે કે કેમ? તે અંગેની પરમિશનની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. તેમજ ગાંધીધામ ખાતે પણ ગેમ ઝોનની તપાસણી કરાઈ હતી. ભુજ ખાતે ફાયર એનઓસી આખી બિલ્ડીંગની હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ પીજીવીસીએલની તપાસ દરમિયાન કેટલીક ખામીઓ જણાઈ આવી હતી. જો કે, રાજય સરકારની સુચનોને પગલે ભુજ તેમજ ગાંધીધામ બંને શહેરોમાં હાલના તબક્કે ગેમ ઝોન બંધ રાખવાના આદેશ કરાયા છે.
ભુજ સહિત ગાંધીધામ સહિતના સ્થળોએ ગેમ ઝોન છે કે કેમ? તેમજ ગેમ ઝોનમાં નિયમોની અમલવારી થાય છે કે કેમ? પરમીશન, ફાયર એનઓસી સહિતની બાબતની હકીકતો જાણવા માટે ટીમો બનાવાઈ છે. દરમિયાન, આજરોજ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક પણ બોલાવાઈ હતી જેમાં પણ સંયુકત ટીમો બનાવીને તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે.
આજે સવારથી જ ભુજ, ગાંધીધામમાં ટીમો બનાવીને તપાસ કરવામાં આવી હતી જેમાં, અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તમામ ગેમ ઝોનમાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. ભુજના ડી માર્ટ પાસે આવેલ ગેમ ઝોનમાં સવારથી જ તપાસ અર્થે ટીમો દોડતી થઈ હતી. હવે ગેમિંગ ઝોનમાં એક સમયે કેટલાક લોકો વધારેમાં વધારે હાજર રહી શકે તે અંગે એની માહિતી દર્શાવવા માટેની પણ સુચના અપાશે. તપાસ ટીમો દ્વારા દરેક ગેમિંગ ઝોનની કાયદેસરતા તેમજ જરૂરી લાયસન્સ, પરમીશન પરવાનગી મેળવેલી છે કે કેમ તેની ચકાસણી અને ખરાઈ કરાશે. જો ન હોય તો તાત્કાલીક અસરથી ગેમિંગ ઝોન બંધ કરાવવામાં આવશે. ગેમ ઝોનમાં મહતમ વ્યકિતઓની પ્રવેશ સંખ્યા નક્કી કરવામાં આવેલ છે કે કેમ? જો ન કરેલી હોય તો તાત્કાલીક ધોરણે મહતમ વ્યકિતઓના પ્રવેશની સંખ્યા સુનિશ્ચિત કરવી અને તેને પ્રવેશદ્વાર પાસે દર્શાવવાની રહેશે.
હાલ તો ભુજ તેમજ ગાંધીધામના ગેમિંગ ઝોન બંધ કરી દેવાયા છે. રાજય સરકારના આદેશ બાદ ગેમ ઝોનમાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તે મુજબ ભુજ, ગાંધીધામ સહિતના સ્થળોએ ગેમ ઝોનની એનઓસી થી લઈને તમામ બાબતોની ચકાસણી કરવા ટીમ બનાવાશે. ગેમ ઝોનમાં જે તે પ્રકારની ક્ષતિ જાણવા મળશે તો કડક કાર્યવાહી કરાશે.
ગાંધીધામ ખાતે ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નગરપાલિકાની ફાયર વિભાગની ટીમો દ્વારા ઓન સિનેમા ચાર રસ્તા પાસે તેમજ આસપાસના વિસ્તારના ગેમ ઝોનની ચકાસણી કરવામાં આવી હતી. હાલના તબક્કે ગેમ ઝોન બંધ રાખવાના આદેશ કરાયા છે.
ભુજ ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે, ભુજમાં ગેમ ઝોન દરમિયાન આખી બિલ્ડીંગની ફાયર એનઓસી હતી પરંતુ પીજીવીસીએલની ચકાસણી દરમિયાન અમુક ઈલેટ્રીક ખામી દેખાઈ હતી. પરિણામે, હાલના સંજોગોમાં ગેમ ઝોનને બંધ રાખવા જણાવી દેવાયું છે.
કચ્છમાં આ જાહેર ક્ષેત્રોમાં ફાયર ફાઈટરની સુવિધા છે કે કેમ?
રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે, કચ્છમાં પણ તપાસનો ધમધમાટ જોવા મળે છે. તે વચ્ચે ભુજ સહિત કચ્છમાં આવેલા તમામ રેસ્ટોરેન્ટ, હોટલો, હોસ્ટેલ, શાળાઓ, સિનેમા હોલ, મોલ, નર્સરી સ્કુલ, કોલેજ, ટયુશન કલાસીસમાં ઈમરજન્સી બહાર નીકળવાનું તેમજ ફાયર ફાઈટરની સુવિધા છે કે કેમ? તે પણ તંત્ર માટે તપાસ માંગી લે તેવી બાબત છે.