કાલે રવિવારની રજા હોવા છતાં પણ સરકારના આદેશથી રાજ્યની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામા આવી હતી અને સ્કૂલો ચાલુ રાખવામા આવી હતી. અમદાવાદ જિલ્લામાં 110થી વધુ સ્કૂલો કે જેઓને ફાયર એનઓસીની જરૂર ન હતી પરંતુ ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન હોવાથી નોટિસ આપવામા આવશે. અમદાવાદની 1900થી વધુ સ્કૂલોમાં ચેકિંગ કરવામા આવ્યુ હતું.
સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને સઘન ચેકિંગ કરાયુ
રાજકોટના અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગના આદેશથી રાજ્યની સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને અગાઉ સઘન ચેકિંગ કરાયુ હતુ. રાજ્યના તમામ જિલ્લા ડીઈઓ-ડીપીઓ દ્વારા રૂબરૂ ચકાસણી કરવામા આવી હતી અને તમામ સ્કૂલો પાસેથી ફાયર સેફટીના લગતા પ્રમાણપત્રો મંગાયા હતા.જેમાં અગાઉ અમદાવાદ કેટલીક સ્કૂલોમાં ફાયર એનઓસી રીન્યુ ન હતી અને તેઓને રીન્યુ કરવા આદેશ કરાયો હતો.
શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોમાં ફાયર સેફટી ચેકિંગ
આ દરમિયાન હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર તમામ સ્કૂલો ફાયર સેફટી ચેકિંગ માટે આદેશ કરાયો હતો અને જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડ, કમિશનર ઓફ સ્કૂલ કચેરી તથા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને પરિપત્ર કરીને રવિવારે ચેકિંગ કરીને 17મી સાંજ સુધી રિપોર્ટ આપવા આદેશ કરવામા આવ્યો હતો.
શહેરમાં 57 અને ગ્રામ્યમાં 55 સ્કૂલોને ફાયર NOCની જરૂર નહીં પરંતુ જરૂરી સાધનો ન હતા
જેના પગલે આજે તમામ જિલ્લામાં રવિવારે રજાના દિવસે પણ સ્કૂલો ચાલુ રહી હતી. હાઈકોર્ટના આદેશના પગલે ગઈકાલે થયેલા ઈન્સપેકશનમાં અમદાવાદ શહેર ડીઈઓ હેઠળની 57 સ્કૂલો અને ગ્રામ્ય ડીઈઓ હેઠળની 55 સ્કૂલો સહિત 110થી વધુ સ્કૂલોમાં ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન હોવાનું ધ્યાને આવ્યુ હતુ.
9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા બિલ્ડીંગમાં ફાયર એનઓસી લેવાની જરૂર નહિ
જો કે નિયમ મુજબ આ સ્કૂલોને ફાયર એનઓસીની જરૂર નથી કારણકે 9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા સ્કૂલ મકાનને લીધે આ સ્કૂલોએ ફાયર એનઓસી લેવાની જરૂર નથી પરંતુ હોઝરીલ પાઈપ અને બાટલા સહિતના જરૂરી સંસાધનો રાખવા જરૂરી છે.જેથી કેટલીક સ્કૂલોમાં હોઝરીલ પાઈપો ન હતી.આ સ્કૂલોને નોટિસ આપવામા આવશે.