અમદાવાદ કે ગુજરાતમાં પોતાના જૂના મકાનોની સ્કીમ રિડેવલપમેન્ટમાં આપનારાઓ ચેતી જાય તેવો ચૂકાદો ગુજરાત રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ઓથોરિટી (રેરા)એ આપ્યો છે. રિડેવલપમેન્ટ માટે બિલ્ડરને જમીન આપનાર જૂના સભ્યો બિલ્ડરના પાર્ટનર જ ગણાય છે.
ફરિયાદનો રેરા કોર્ટ ચૂકાદો આપી શકે નહી
જૂના સભ્યો રિડેવલપમેન્ટના કામમાં બિલ્ડરના પાર્ટનર જ છે. તેથી તેમની અને બિલ્ડરની વચ્ચે કોઈ વિવાદ થાય તો તેવા સંજોગોમાં તેઓ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી પાસે ફરિયાદ કરી શકે નહી. તેમણે સિવિલ સ્યૂટ જ ફાઈલ કરવો પડે છે. તેમની ફરિયાદનો રેરા કોર્ટ ચૂકાદો આપી શકે જ નહી.
શું છે મામલો?
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા રાજપુર-હીરાપુરની તુષા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીને રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ તરીકે રજિસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. રિડેવલપમેન્ટનું કામ ચાલ્યા બાદ જૂના મેમ્બર અને બિલ્ડર વચ્ચે વિવાદ થયો હતો. આ આખો મામલો રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી સમક્ષ પહોંચ્યો હતો.
જેમાં 24 થી 30 મહિના આપવાનું ઓફર લેટરમાં જણાવ્યું હતું. નવો ફ્લેટ 130 વારનો આપવા કરાર બિલ્ડરે કરતો હતો. તેમજ રિડેવલપમેન્ટના કરારમાં અમુક જૂના સભ્યની સહી સંમતી લેવાઈ નહોતી. આથી મુકેશ ખત્રી રિડેવલપમેન્ટ રોકવા સિવિલ કોર્ટમાં ગયા હતા અને સિવિલ કોર્ટમાં સમાધાન થયું હતું.
આ સમાધાનમાં 24 થી 30 માસમાં કબજો સોંપવાનું, રૂ. 38 લાખમાં એલોટ કરવાનું તેમજ સોસાયટીને આપેલી ઓફર મુજબ કોમન એમેનિટીઝ સાથે ફ્લેટ આપવાના કરાર થયા હતા. કરાર કર્યા છતાં સભ્યને ગિફ્ટ મનીના રૂ.10 લાખ ચૂકવ્યા નથી. તેમજ વિલંબથી કબજો આપવાના ગાળાનું વ્યાજ પણ ચૂકવ્યું નથી. આ ઉપરાંત એમેનિટીઝ આપવા કરાર કર્યા પછી એમેનિટીઝ પણ આપી નથી.
રેરાની અદાલતનો ચૂકાદો શું કહે છે
સામાન્યરીતે જૂના બાંધકામને તોડીને નવા બાંધકામ કરી આપવાના અથવા તો જૂના બાંધકામ ઉપરાંતના યુનિટો બાંધીને તેને વેચવાની શરતે કરાર કરવામાં આવે છે. તુષાર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના નવા તૈયાર થયેલા મકાનમાં મોટાભાગના સભ્ય જૂના જ સભ્ય છે. તેમાં ફ્લેટ વેચાણ આપેલા નથી.
આ સોસાયટીના રિડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં જૂના સભ્ય પાર્ટનરની શ્રેણીમાં આવે છે. આમ પ્રમોટર અને પાર્ટનર વચ્ચેનો વિવાદ હોવાનું જણાય છે. અર્ધન્યાયિક સત્તા ગણાતી રેરા-રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીના મેમ્બર એમ.એ. ગાંધીએ બારમી જૂને આપેલા ચૂકાદામાં જણાવ્યું છે કે રિયલ એસ્ટેટે રેગ્યુલેટરી એક્ટનો ઉદ્દેશ રિયલ એસ્ટેટ ક્ષેત્રે થતાં વેચાણ વ્યવહારને લક્ષ્યમાં રાખવામાં આવેલો છે. જ્યારે પુનર્વસવાટ-રિહેબિલેશનનો સમાવેશ થતો નથી.
તુષાર એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ રિડેવલમેન્ટ-પુનઃ નિર્માણનો નહી, રિહેબિલેશન-પુનર્વસનનો પ્રોજેક્ટ છે. તેથી ફરિયાદી પણ પ્રોજેક્ટની જમીનનો માલિક હોવાના લીધે પ્રોજેક્ટનો પાર્ટનર છે. પ્રમોટર અને પાર્ટનર વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવાની કોઈ જ સત્તા રેરો કોર્ટ પાસે નથી. તેથી ફરિયાદને રદ કરવામાં આવે છે.