પાકિસ્તાનનું કહેવું છે કે તે ઓક્ટોબરમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકની યજમાની કરશે અને ભારત સહિત તમામ સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરશે. આવી સ્થિતિમાં ભારતમાંથી કોને મોકલવામાં આવશે તે એક મોટો સવાલ છે. છેલ્લા લગભગ એક દાયકાથી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નથી રહ્યા. સત્તામાં આવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે સારા સંબંધોની પહેલ કરી હતી. તેમને શપથ ગ્રહણ સમારોહમાં પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને પછી એક વખત અચાનક તેઓ પાકિસ્તાનની મુલાકાતે પણ ગયા હતા. આ અવસર નવાઝ શરીફના જન્મદિવસનો હતો. 2015માં તેમની આ મુલાકાત મહત્વપૂર્ણ હતી કારણ કે 10 વર્ષ પછી કોઈ ભારતીય પીએમ પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા.
બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ
ત્યારબાદ પઠાણકોટ, ઉરી જેવા આતંકવાદી હુમલા થયા અને ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહી કરી. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ છે અને હવે લગભગ 9 વર્ષ વીતી ગયા છે. આ સમયગાળા દરમિયાન કોઈ ભારતીય મંત્રી કે પીએમ પાકિસ્તાનની મુલાકાતે નથી ગયા. જોકે, ગત વર્ષે ગોવામાં જ્યારે SCO દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે બિલાવલ ભુટ્ટો ઝરદારી ચોક્કસપણે આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરે છે તેના પર સૌની નજર રહેશે.
SCO સભ્ય દેશોના તમામ સરકારના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ મોકલીશું
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, SCO હેડ્સ ઓફ ગવર્મેન્ટ કાઉન્સિલ (CHG)ની અધ્યક્ષતાના રૂપમાં પાકિસ્તાન આ વર્ષે ઓક્ટોબરમાં SCO હેડ ઓફ ગવર્મેન્ટની બેઠકની યજમાની કરશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપશે. બલોચે કહ્યું કે, તેની અધ્યક્ષતા પાકિસ્તાન પાસે છે તેથી અધ્યક્ષ તરીકે અમે SCO સભ્ય દેશોના તમામ સરકારના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ મોકલીશું. તેમણે કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે, ઓક્ટોબરમાં આયોજિત થનારી રાષ્ટ્રાધ્યક્ષોની બેઠકમાં SCOના તમામ સદસ્યોનું પ્રતિનિધિત્વ થશે.
SCO સદસ્ય દેશો વચ્ચે નાણાકીય, આર્થિક, સામાજિક-સાંસ્કૃતિક અને માનવીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે
તેમણે કહ્યું કે, ઓક્ટોબરમાં આયોજિત થનારા શિખર સમ્મલેનમાં પહેલા મંત્રી સ્તરની બેઠક અને વરિષ્ઠ અધિકારીઓની અનેક તબક્કાની બેઠક થશે. જેમાં SCO સદસ્ય દેશો વચ્ચે નાણાકીય, આર્થિક, સામાજિક-સાંસ્કૃતિક અને માનવીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બલોચે એમ પણ કહ્યું કે, પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ પણ જૂથનો હિસ્સો નહીં બનશે કારણ કે તે તમામ દેશો સાથે સારા સબંધો રાખવામાં વિશ્વાસ રાખે છે.