વર્ષો પછી ભલે દિવંગત અભિનેતા ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી, પણ ચાહકો તેમને યાદ કરે છે. રણબીર કપૂર પણ તેના પિતાની ખૂબ નજીક હતો. રણબીરે તાજેતરમાં નિખિલ કામથના પોડકાસ્ટમાં તેના જીવનના ઘણા પાસાઓ વિશે વાત કરી હતી. તેને તેના પિતાના અંતિમ દિવસો પણ યાદ કર્યા હતા.
રણબીરે કહ્યું હતું કે, ‘મેં મારા જીવનના શરૂઆતના તબક્કામાં જ રડવાનું બંધ કરી દીધું હતું. મારા પિતાનું અવસાન થયું ત્યારે પણ હું રડ્યો નહોતો. મને યાદ છે કે હું ઉપરના માળે રૂમમાં ગયો અને મને ત્યારે પેનિક એટેક આવ્યો હતો. એ વખતે હું મારી જાતને કેવી રીતે વ્યક્ત કરું તે જ સમજાતું ન હતું.’
પિતાના મૃત્યુની વાત કરતા રણબીરે જણાવ્યું કે, ‘હું હોસ્પિટલમાં હતો ત્યારે ડૉક્ટરે મને કહ્યું હતું કે, આ તેમની છેલ્લી રાત છે. તેમનું ગમે ત્યારે મૃત્યુ થઈ શકે છે. જો કે એ શબ્દો સાંભળતા જ હું દિગ્મૂઢ થઈ ગયો હતો.’
આ દરમિયાન નિખિલ કામથે રણબીરને સવાલ કર્યો કે ‘શું તારા પિતા સાથે ક્યારેય તને ન રડવાનો વસવસો થયો છે?’
આ વાતનો જવાબ આપતા તેણે કહ્યું કે, ‘ન રડવું એ એ ગુનો નથી. મારા પિતાની સારવાર વખતે ન્યૂયોર્કમાં હું ઘણીવાર મારી લાગણી પિતા સમક્ષ રજૂ કરતો હતો. એક દિવસ હું મારા પિતાના રૂમમાં જઈને ખૂબ રડ્યો હતો. મને એ વાતનો હંમેશા વસવસો રહેશે કે, હું તેમને અંતિમ પળોમાં ગળે લગાવી શક્યો નહીં.’
આ પોડકાસ્ટમાં રણબીરે ધૂમ્રપાન સાથેના તેના સંઘર્ષ વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે, ‘મેં મારી પુત્રી રાહાના જન્મ બાદ ધૂમ્રપાન છોડી દીધું છે. મારા જીવનમાં આવેલા આ નોંધપાત્ર પરિવર્તને મને ધુમ્રપાનની કુટેવ છોડવા પ્રેરિત કર્યો હતો.’