સુરત સહિત રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે હેતુથી ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળે છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન દ્વારા આ યોજના હેઠળ પરીક્ષાના માધ્યમથી તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદ કરવામાં આવે છે. આ NMMS પરીક્ષામાં સુરત જિલ્લાના કુલ ક્વોટા 451 પૈકી સુરત સમિતિની શાળાના 363 વિદ્યાર્થીએ મેરીટમાં સ્થાન મેળવ્યું છે.
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લા કેટલાક વખતથી શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે. સમિતિની શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરતા હોય આવા બાળકોને આગામી ભણતર માટે શિષ્યવૃત્તિ મળે તે માટે શિક્ષકો- આચાર્ય દ્વારા ખાસ આયોજન કરવામા આવે છે. કેટલીક શાળામાં તૈયારી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે પ્રાર્થના સમયમાં કે વિદ્યાર્થીનીઓને એક કલાક પહેલા બોલાવીને કરાવવામાં આવે છે. તેના કારણે આ પરીક્ષામાં સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ અગ્રેસર જોવા મળી રહ્યાં છે.
આ વર્ષે પરીક્ષા થઈ હતી તેમાં સુરત કોર્પોરેશન રાજ્યમાં બીજા ક્રમે છે. અન્ય ગ્રાન્ટેડ શાળા સાથે શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ મળીને આખા સુરત કોર્પોરેશનમાંથી 367 વિદ્યાર્થી મેરીટમાં આવ્યા છે જેમાં 60 વિદ્યાર્થીઓ તો વરાછાની શાળા ક્રમાંક 16ના છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થી મેરીટમાં આવે તેને ધોરણ 9 થી 12 સુધી એમ ચાર વર્ષ દર વર્ષે 12000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તે ચાર વર્ષ સુધી મળે છે એટલે આ ચાર વર્ષ દરમિયાન આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને 48 હજાર જેટલી શિષ્યવૃત્તિ મળે છે તે તેમના અભ્યાસ માટે ઘણી જ ઉપયોગી બની રહે છે.