ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના રત્ન કલાકાર યુવાનને મુંબઈ, જોધપુર, ચેન્નઈ લઈ ગયા
મકાનના કામ માટે નાણાંની જરૂરિયાત હોય પાંચ શખ્સોએ વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની વરતેજ પોલીસમાં ફરિયાદ
ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતા રત્ન કલાકાર યુવાનને મકાનના કામ માટે નાણાંની જરૂરિયાત હોવાથી પાંચ શખ્સોએ લોનના બહાને વિશ્વાસમાં લઈ મુંબઈ, જોધપુર, ચેન્નઈ લઈ જઈ બેંકોમાં ખાતા ખોલાવી જીએસટી નંબર મેળવી પેઢી ખોલી યુવાનના ખાતામાંથી યુવાનની જાણ બહાર આથક વ્યવહારો કરી યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પાંચ શખ્સો વિરૂદ્ધ વરતેજ પોલીસમાં નોંધાઈ છે. આમ, આ ફરિયાદ સાથે બોગસ એકાઉન્ટ કાંડમાં ઘટસ્ફોટ થવા પામ્યો છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતા રત્ન કલાકાર અરવિંદભાઈ કેશવભાઈ કંટારીયાએ વરતેજ પોલીસ મથકમાં ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના કિશોર મગનભાઈ ખસિયા, ભાવનગર તાલુકાના માલણકા ગામના બાબુ ચુડાસમા, મુંબઈના મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલ, જોધપુર જિલ્લાના જોધપુરના રમેશ ઉર્ફે સુનિલ અગ્રવાલ અને રમેશ અગ્રવાલના ડ્રાઈવર રાહુલ સહિત પાંચ વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી આશરે બે વર્ષ પહેલા ગામડે મકાનનંુ કામ ચાલુ હતું અને ત્યારે પોતાને (અરવિંદભાઈને) પૈસાની ખુબ જ જરૂરીયાત હોવાના કારણે લોન લેવી પડે તેમ હતી. આથી પોતેે ગામમાં રહેતા તેમના મિત્ર કિશોર મગનભાઈ ખસિયા (રહે.મોટા ખોખરા,તા. ઘોઘા જિ,ભાવનગર)ને વાત કરેલ હતી. જેથી આ કિશોર ખસિયાએ તેમના ઓળખીતા બાબુ ચુડાસમા (રહે, માલણકા)ને આ વાત કરી હતી. ત્યાર પછી પોતે, કિશોર ખસિયા અને બાબુ મોટા ખોખરા ગામે મળ્યા હતા ત્યારે બાબુ ચુડાસમાએ વાત કરેલ કે,’તુ અમારી સાથે આવી અમારા કહેવા મુજબ બેન્કમાં એકાઉન્ટ ખોલાવી નાખ અને તું ખાતુ ખોલાવ એટલે તને લોન પેટે રૂપીયા મળી જશે’ તેમ વાત કરેલ હતી. ત્યારબાદ થોડા દિવસ પછી બાબુ ચુડાસમાએ કહેલ કે, ‘આપણે મુંબઈ જવાનું છે’ તેમ કહી આ બંને શખ્સ પોતાને તથા રમેશભાઈ બારૈયા (રહે.રતનપર )ને અર્ટીગા કારમાં મુંબઈ પનવેલ ખાતે લઈ ગયેલ અને ત્યાં હોટલમાં રોકાયેલ હતા. પછી બીજા દિવસે સવારમાં બાબુ ચુડાસમા અને કિશોર ખસિયાના ઓળખીતા મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલને મળ્યા હતા. મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલને પોતે પોતાના આધારકાર્ડ તથા પાનકાર્ડની નકલ તથા પાસપોર્ટ સાઈઝના ફોટા આપ્યા હતા અને તેનાથી પોતાના નામે સીમકાર્ડ લીધું હતું. ત્યારબાદ મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલ પોતાને મુંબઈમાં આવેલ કોટક બેન્કમાં લઈ ગયેલ અને બેંકમાં પોતાના અંગુઠાનું નિશાન કરી આપેલ હતું. જે આધારે બેંકમાં પોતાનું એકાઉન્ટ ખોલાવેલ. જે એકાઉન્ટ નંબર પોતાને ખબર નથી. પોતાના નામના બેંક એકાઉન્ટની કીટ તથા એટીએમ કાર્ડ તથા પોતાના નામના સીમકાર્ડ કઢાવેલ તે આ મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલે રાખેલ હતા અને ત્યારબાદ પોતે પોતાના ઘરે આવતા રહેલ. ઘરે આવીને કિશોર ખસિયાએ પોતાને રૂા.૧૦ હજાર આપી કહેલ કે લોન મળી જાય ત્યારે આપી દેજે તેમ કહી તેઓએ લોન પેટે રૂા. ૧૦ હજાર આપેલ હતા.
થોડા દિવસ પછી બાબુ ચુડાસમા પોતાના ગામ ખોખરા આવેલ અને પોતાને મળીને વાત કરેલ કે, મુંબઈ એકાઉન્ટ ખૂલેલ નથી જેથી હવે જોધપુર રાજસ્થાન જવું પડશે તેમ કહી બાબુ ચુડાસમા તથા કિશોર ખસિયા પોતાને તથા લખમણભાઈ સરવૈયા (રહે. ભાવનગર )ને અર્ટીગા કારમાં જોધપુર લઈ ગયેલ અને ત્યાં એક હોટલમાં રોકાયા હતા. ત્યાં આગળ બાબુ અને કિશોરના ઓળખીતા રમેશ અગ્રવાલ (રે. જોધપુર)ના કહેવાથી તેમના ડ્રાઈવર રાહુલ બધાને એક બેંકમાં લઈ ગયેલ. જે બેંકનું નામ પોતાને યાદ નથી. ત્યાં આધારકાર્ડ, પાનકાર્ડની નકલો તથા પાસપોર્ટ સાઈઝના ફોટા આપેલ હતા અને બેંકના ફોર્મમાં અંગુઠાનું નિશાન કરી આપેલ. બેંકમાં પોતાનું એકાઉન્ટ ખોલાવેલ હતું. જે એકાઉન્ટ નંબર પોતાને ખબર નથી. ત્યાં બેંક એકાઉન્ટની કીટ તથા એટીએમ કાર્ડ તથા પોતાના નામનું સીમકાર્ડ કઢાવાયું હતું. તે રમેશ અગ્રવાલે રાખેલ હતા.
થોડા દિવસ વીત્યા ત્યાં કિશોર અને બાબુએ જણાવેલ કે, જોધપુરમાં ખાતું ખૂલેલ નથી જેથી ચેન્નઈ જવું પડશે. જેથી કિશોર ખસિયા પોતાને તથા પોતાની સાથે હાર્દીકભાઈ ભીમજીભાઈ વાઘેલા (રહે. મોટા ખોખરા ) તથા પ્રકાશભાઈ પરમાર (રહે. પીપરલાગામ )ને ટ્રેનમાં ચેન્નઈ લઈગયેલ. ત્યાં પણ આ રમેશ ઉર્ફે સુનિલ અગ્રવાલ તથા અનિલ અગ્રવાલના માણસ રાહુલ મળેલ અને આધારકાર્ડ, પાનકાર્ડની નકલ લીધેલ અને તેનાથી સીમકાર્ડ કઢાવેલ. ત્યાં પોતાના નામે બેંક એકાઉન્ડ ખોલાવી ખાતાઓની કીટ તથા સીમકાર્ડ મુકેશ તથા રમેશના માણસ રાહુલે તેની પાસે રાખેલ હતી.
આમ, વિશ્વાસમાં લઇ પોતાને લોન અપાવવાના બહાને પ્રિપ્લાન મુજબ પોતાના નામે ખોટી ઓળખ ઉભી કરી જીએસટી નંબરથી પેઢી ખોલી પોતાની જાણ બહાર બેંક એકાઉન્ટમાં આર્થિક વ્યવહારો કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ છે. પોલીસે ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના કિશોર મગનભાઈ ખસિયા, ભાવનગર તાલુકાના માલણકા ગામના બાબુ ચુડાસમા, મુંબઈના મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલ, જોધપુર જિલ્લાના જોધપુરના રમેશ ઉર્ફે સુનિલ અગ્રવાલ અને રમેશ અગ્રવાલના ડ્રાઈવર રાહુલ સહિત પાંચ વિરૂદ્ધ આઈપીસી ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮, ૪૭૧,૧૨૦ બી,૩૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે સાઈબર હેલ્પલાઈનમાં અરજી કરી હતી
મોટા ખોખરા ગામના અરવિંદભાઈ કેશવભાઈ કંટારિયાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ કર્યા મુજબ તેમણે સાઈબર હેલ્પલાઈન નં. ૧૯૩૦ પર આ બાબતે અરજી કરેલ હતી. આ અરજી કર્યા બાદ રમેશ ઉર્ફે સુનિલ અગ્રવાલ પોતાના ગામ મોટા ખોખરા રૂબરૂ આવેલ અને જણાવેલ કે, જીએસટી વિભાગમાં પૂછપરછ થશે અને વિરૂદ્ધમાં કાર્યવાહી થશે તેવો પોતાને ડર બતાવીને પોતે કરેલ અરજી તેમણે પરત ખેંચાવેલ હતી. થોડા દિવસો પછી પોતાના નામના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયેલ હતા.