10 વ્યક્તિઓનાં મોત નિપજ્યાં હતાં
૧૦મો મૃતદેહ વડોદરાના આધેડનો હોવાનું ખુલ્યું : બંને વાહનચાલકોની બેદરકારીના લીધે અકસ્માત સર્જાયો
નડિયાદ: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક બુધવારે બપોરે કાર ખોટકાયેલા ટેન્કર પાછળ ઘુસી જતાં ૧૦ લોકોના મોત નિપજ્યાં હતાં. જેમાં ૯ મૃતકોની ઓળખ થઈ ગઈ હતી. જ્યારે ૧૦માં મૃતકની ઓળખ ગુરુવારે થઈ છે. આ અકસ્માત અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઇએ ફરિયાદી બની કાર ચાલક અને ટેન્કર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી અર્ટિગા કારના ચાલકે પુરઝડપે કાર ચલાવી એક્સપ્રેસ વે પર પાર્કિંગ લેનમાં ખોટકાયેલી ટેન્કરની પાછળ ઘુસી ગઈ હતી. જેમાં ૮ વ્યક્તિઓના ઘટનાસ્થળે તથા ૨ વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતાં.
પોલીસે મૃતકોના મોબાઈલ તથા આધારકાર્ડના આધારે તેમની ઓળખ હાથ ધરતા ૯ મૃતકોની બુધવારે ઓળખ થઈ ચૂકી હતી.
જ્યારે ૧૦મો મૃતદેહ વડોદરાના ૫૮ વર્ષીય દીપકભાઈ નટવરભાઈ ઠક્કરનો હોવાનું ગુરુવારે પોલીસ તપાસમાં ખૂલ્યું છે. જ્યારે અકસ્માત અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસના પીએસઆઇ ડી. એસ. ઝાલાએ જાતે ફરિયાદી બની ટેન્કર ચાલક ઈમતીયાઝઅહેમત ઈસ્તીયાકઅહેમત અંસારી (રહે. શ્રીરામ પાડા, અંબેચી ભરણી, તુલેતપાડા, ગણદેવી રોડ, મુંબઈ, મહારાષ્ટ્ર) અને કાર ચાલક મૃતક સુરેન્દ્રસિંહ અમરસિંહ રાવત (રહે. ભીલવાડા, રાજસ્થાન) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, બંને વાહન ચાલકોની ગંભીર બેદરકારીથી આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવેની ઈમરજન્સી પાર્કિંગ લેન પર બંધ પડેલી ટેન્કરના ચાલકે કોઈ આડસ કે રિફલેક્ટર મૂક્યા નહોતા. તથા હાઈવે ઓથોરીટીને પણ કોઈ જાણ કરાઈ નહતી. તેમજ ખાનગી કારને ટેક્સી તરીકે ઉપયોગ કરી અમદાવાદ-વડોદરા વચ્ચે ફેરી મારવામાં આવતી હતી. ૭ વ્યક્તિઓની કેપેસીટી ધરાવતી આ કારમાં ડ્રાઈવર સહિત ૧૦ લોકોને ખીચોખીચ બેસાડયા હતા. ત્યારે કારચાલકે ઓવરસ્પીડમાં કાર ચલાવી ઈમરજન્સી લેનમાં ઓવરટેક કરવાથી દુર્ઘટના બની શકે તેમ જાણ હોવા છતાં લેનમાં ઓવરટેક કરી અકસ્માત સર્જ્યો હતો.