કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓને કશું કરતું નથી કેમ કે કેનેડામાં શીખ સમુદાય મોટો અને વગદાર છે. આ ગેંગસ્ટર્સ કમ ટેરરિસ્ટનો સીખ સમુદાય પર વ્યાપક પ્રભાવ છે તેથી ચૂંટણીઓમાં સીખોના મત અપાવવામાં મદદરૂપ થાય છે. તેના બદલામાં રાજકારણીઓ તેમને છાવરે છે. આ કારણે જ પંજાબના અપરાધીઓ ધોંસ વધતાં જ કેનેડા ભાગી જાય છે. કેનેડામાં જતાં જ ખાલિસ્તાનવાદીઓ તેમને પોતાના નેટવર્કમાં સામેલ કરી લે છે.
ખાલિસ્તાનવાદી આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બદલ પકડાયેલા ત્રણ ભારતીય યુવકો ભારતીય એજન્સીના એજન્ટ હોવાના દાવા કેનેડાની એજન્સીઓ કરી રહી છે. કેનેડાની એજન્સીઓ આડકતરી રીતે નિજ્જરની હત્યા ભારતે કરાવી હોવાનું સાબિત કરવા માગે છે તેથી આ બધા ઉધામા કરી રહી છે. વાસ્તવમાં કેનેડાને હાથનાં કર્યાં હૈયે વાગી રહ્યાં છે. કેનેડાએ ખાલિસ્તાનવાદી આતંકવાદીઓ કમ ગેંગસ્ટર્સને માત્ર આશરો જ નથી આપ્યો પણ પોષ્યા પણ છે. આ આતંકવાદીઓ કમ ગેંગસ્ટર્સ વચ્ચે વર્ચસ્વની લડાઈ માટે જંગ ચાલ્યા કરે છે તેમાં નિજ્જર અને સુખા દુન્નાન્કે એ બે ગેંગસ્ટર્સ ઢબી ગયા છે.
ભારતીય એજન્સીઓએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ અને ગેંગસ્ટર્સની એક યાદી તૈયાર કરી છે. આ યાદીમાં 17 ટોચના ટેરરિસ્ટ કે પછી ગેંગસ્ટર્સ એવા છે કે જે કેનેડામાં રહે છે અથવા કેનેડા સાથે સંકળાયેલા છે. મતલબ કે, અમેરિકા કે યુરોપના કોઈ દેશમાં રહે છે પણ કેનેડા આવતા-જતા રહે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વ્યક્તિગત રીતે આતંકવાદી જાહર કરાયેલા આ અપરાધીઓ કેનેડામાં બેઠાં બેઠાં પંજાબ અને આસપાસનાં રાજ્યોમાં ગેંગ્સ ચલાવે છે, ખંડણી ઉધરાવે છે, હત્યાઓ કરાવે છે ને બીજી પણ આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે.
અત્યાર લગી આ ગેંગસ્ટર્સ કેનેડામાં અપરાધ નહોતા કરતા એવું મનાતું પણ પણ નિજ્જરની હત્યાએ આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. નિજ્જરની હત્યામાં ગોલ્ડી બ્રારનો હાથ હોવાનું કહેવાય છે. ગોલ્ડી બ્રાર અમેરિકામાં રહેતો હોવાનું કહેવાય છે પણ તેનો સાથી અર્શ દલ્લા કેનેડામાં જ રહે છે. અર્શ દલ્લા અને નિજ્જર એકબીજાની નજીક હોવાનું મનાતું હતું પણ નિજ્જરની હત્યામાં પકડાયેલા લોકોના ગોલ્ડી બ્રાર સાથેના કનેક્શને આ વાત ખોટી સાબિત કરી છે. સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારના ભારતની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે સંબંધ છે. બિશ્નોઈ ઉત્તર ભારતમાં સૌથી મોટી ગેંગ ચલાવે છે. ગોલ્ડી બ્રાર સિવાય કેનેડામાં રહેતા ભારત માટે મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ-ગેંગસ્ટર્સમાં અર્શ દલ્લા, લખબિરસિંહ ઉર્ફે લાંડા. હરપ્પિત ઉપ્પલ જેવા કુખ્યાત લોકો છે. અર્શ દલ્લા ખાલિસ્તાની આતંકવાદીઓનો ગોડફાધર મનાય છે. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો લખબીરસિંહ લાંડા પંજાબના તરણ તરણનો છે અને પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. ગયા વરસે ભારત લવાયેલો સુખપ્રીતસિંહ બુડ્ડા પણ કેનેડામાં રહીને ખાલિસ્તાની ટેરર મોડયુલ ચલાવતો હતો. હરપ્રીત ઉપ્પલ લો પ્રોફાઈલ રહીને કામ કરે છે પણ ડ્રગ્સનો મોટો ડીલર છે.
આ સિવાય જસદીપસિંહ, વિરેન્દ્ર પ્રતાપ ઉર્ફે કાલા રાણા, જોગિન્દરસિંહ, વિક્રમજીતસિંહ ઉર્ફે વિક્રમ બ્રાર, દરમનસિંહ ઉર્ફે દરમનજોત કહલોન, સુરેન્દ્રસિંહ ઉર્ફે ચીકુ, સન્ની ડાગર, નવિન ડબ્બાસ ઉર્ફે નવિન બાલી, જગસીર સિંહ ઉર્ફે જગ્ગા, ભૂપિન્દરસિંહ ઉર્ફે ભૂપી રાણા અને દલેરસિંહ એટલા કેનેડામાં રહેતા ગેંગસ્ટર્સ-ટેરરિસ્ટ એનઆઈએના લિસ્ટમાં છે.
કેનેડામાં રહેતા મોટા ભાગના ગેંગસ્ટર્સ પાકિસ્તાન દ્વારા ભારતમાં ઘૂસાડાતા ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા છે. પાકિસ્તાન પંજાબમાં ખાલિસ્તાનની ચળવળને ફરી સક્રિય કરવા મથે છે તેથી આ ગેંગસ્ટર્સ ખાલિસ્તાનવાદી ચળવળનો હિસ્સો પણ બની ગયા છે. પાકિસ્તાનના ઈશારે ભારતમાં શસ્ત્રો, વિસ્ફોટકો વગેરે ઘૂસાડવામાં પણ આ ગેંગસ્ટર્સ મદદ કરે છે.
એનઆઈએ આતંકવાદ વિરોધી એજન્સી છે તેથી તેના લિસ્ટમાં મોટા ભાગે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગેંગસ્ટર્સ છે પણ એ સિવાય બીજા પણ ભારતીય ગેંગસ્ટર્સ કેનેડામાં રહીને ગેંગ્સ ચલાવે છે. ગૌરવ પત્યાલ ઉર્ફે લકી અને હમણાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરાવનારો અનમોલ બિશ્નોઈ પણ કેનેડામાં હોવાનું કહેવાય છે. અનમોલ અને લકી બંને કેનેડા અને અમેરિકા વચ્ચે આવ-જા કર્યા કરે છે.
આ સિવાય સતવીરસિંહ વોરિંગ ઉર્ફે રામન જજ, સનાવર ધિલ્લોન, ચરણજીતસિંહ ઉર્ફે રિંકુ બિહલા, ગુરપિન્દરસિંહ ઉર્ફે બડા દલ્લા સહિતના ગેંગસ્ટર્સ પણ કેનેડામાં જ છે.
કેનેડા આ આતંકવાદીઓને કશું કરતું નથી કેમ કે કેનેડામાં શીખ સમુદાય મોટો અને વગદાર છે. આ ગેંગસ્ટર્સ કમ ટેરરિસ્ટનો સીખ સમુદાય પર વ્યાપક પ્રભાવ છે તેથી ચૂંટણીઓમાં સીખોના મત અપાવવામાં મદદરૂપ થાય છે. તેના બદલામાં રાજકારણીઓ તેમને છાવરે છે. આ કારણે જ પંજાબના અપરાધીઓ ધોંસ વધતાં જ કેનેડા ભાગી જાય છે. કેનેડામાં જતાં જ ખાલિસ્તાનવાદીઓ તેમને પોતાના નેટવર્કમાં સામેલ કરી લે છે. આતંકવાદીઓને પોષીને કેનેડા પાકિસ્તાનના રસ્તે આગળ વધી રહ્યું છે અને આગ સાથે રમત રમી રહ્યું છે. આગ સાથેની રમતમાં પાકિસ્તાન એ હદે સળગ્યું કે, હવે દુનિયાભરનાં લોકો પાકિસ્તાનથી દૂર ભાગે છે. પાકિસ્તાને 1980ના દાયકામાં ખાલિસ્તાનવાદી અને જિહાદના નામે નિર્દોષોને મારતા મુસ્લિમ કટ્ટરવાદી આતંકવાદીઓને પોષીને પાકિસ્તાનમાં આશ્રય આપ્યો. આ આતંકવાદીઓ પાકિસ્તાન માટે અત્યારે બોજ બની ગયા છે. પાકિસ્તાન તેમની પ્રવૃત્તિઓના કારણે આતંકવાદનો અડ્ડો બની ગયું છે.
કેનેડામાં પણ ખાલિસ્તાનવાદી આતંકવાદીઓનો અડ્ડો બનતું જાય છે એ જોતાં કેનેડામાં ગેંગસ્ટર્સ કમ ટેરરિસ્ટનો આતંક વધશે તો દુનિયાના બીજા દેશો કેનેડાથી પણ દૂર ભાગશે. કેનેડાએ બીજી એક વાત પણ સમજવાની જરૂર છે કે કોઈ પણ એક્શનનું રીએક્શન હોય જ છે. ખાલિસ્તાનવાદીઓ કેનેડામાં બેઠાં બેઠાં ભારતમાં અપરાધો કરે, આતંકવાદ ફેલાવે અને ભારત કશું ના કરે એ શક્ય નથી. ભારતને પણ પોતાને ત્યાં અપરાધ અને આતંકવાદને રોકવાનો અધિકાર છે જ એ જોતાં ભવિષ્યમાં ભારત પણ રીએક્શન આપશે જ. કેનેડામાં રહેતા આતંકવાદીઓને પતાવવા માટે ભારત પણ પોતાનું નેટવર્ક ઉભું કરશે જ. બલ્કે નિજ્જરની હત્યામાં પકડાયેલા ત્રણ આરોપીઓની વિગતો જોતાં તો ભારતે આ નેટવર્ક ઉભું કરવ માંડયું જ છે.
કેનેડા પાસે હજુ પણ સમય છે. એ સુધરી જાય ને ભારત વિરોધી પ્રવૃત્તિ માટે કેનેડાને અડ્ડો બનાવનારા આતંકવાદીઓ કમ ગેંગસ્ટર્સને કેનેડા તગેડવા માંડે એ તેના ફાયદામાં છે. ભવિષ્યમાં શાંતિથી રહેવું હોય તો કેનેડા પાસે બીજો વિકલ્પ નથી.
કેનડાના ખાલિસ્તાનવાદીઓમાં અર્શ દલ્લા સૌથી ખતરનાક
કેનેડામાં રહેતા ભારતીય ગેંગસ્ટર્સમાં હરદીપસિંહ નિજ્જર સૌથી ખતરનાક મનાતો પણ તેની હત્યા પછી હવે અર્શ દલ્લા સૌથી ખતરનાક ગેંગસ્ટર છે. ગોલ્ડી બ્રાર અને બિક્રમ બ્રાર સાથે મળીને પંજાબમાં ક્રાઈમ નેટવર્ક ચલાવતો અર્શદીપસિંહ ગિલ પંજાબના મોંગા જિલ્લાના દલ્લાનો હોવાથી અર્શ દલ્લા તરીકે ઓળખાય છે. નિજ્જરની જેમ દલ્લાએ પણ ખાલિસ્તાનવાદી આતંકવાદીઓની મદદથી પોતાનું ક્રાઈમ નેટવર્ક વિકસાવ્યું છે. દલ્લાએ નિજ્જર કરતાં પણ વધારે હત્યાઓ કરાવી હોવાનું કહેવાય છે. કનિષ્ક પ્લેન બોમ્બિંગમાં સંડોવાયેલા આતંકવાદી રીપદદમનસિંહ મલિકની હત્યા દલ્લાએ કરાવી હતી. 27 વર્ષનો અર્શ દલ્લા ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને ઈન્ટરનેશનલ સિખ યુથ ફેડરેશન જેવાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો છે. અરશ દલ્લા બે મહિના પહેલાં કેનેડામાં ઝડપાયો હોવાની વાત વહેતી થયેલી. અર્શ દલ્લાને એનઆઈએ ભારત લઈ આવશે એવી વાતો પણ ચાલી હતી પણ આ વાતો ખોટી સાબિત થઈ હતી.
અર્શ દલ્લા ૨૦૨૦માં ભારત છોડીને કેનેડા ગયો હતો. હાલમાં બ્રિટિશ કોલંબિયામાં પત્ની અને નાની દીકરી સાથે રહેતો દલ્લા ટેરર ફંડિંગ, ટેરર મોડયુલની રચના, પાકિસ્તાનથી ભારતમાં શસ્ત્રો ઘૂસાડવા ઉપરાંત સોપારી કિંલિંગમાં સંડોવાયેલો છે. દલ્લા સામે હિંદુ સંત પ્રજ્ઞાાજ્ઞાાન મુનિ, ડેરા સચ્ચા સૌદાના મનોહરલાલ સહિતનાં લોકોની હત્યાના કેસ નોંધાયેલા છે. પાકિસ્તાનમાં જેની હત્યા થઈ એ ખાલિસ્તાની આતંકી લખબિરસિંહ રોડે પણ દલ્લાનો સાથી હતો. હરિયાણાનો ગેંગસ્ટર ગુરજંતસિંહ જેંટી પણ દલ્લાનો સાથી છે. જેંટીની મદદથી દલ્લા ગુરગ્રામ સહિતના વિસ્તારોમાં બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવે છે.
ગુપ્તા એનઆઈએના હેડ બન્યા પછી ખાલિસ્તાનીઓ પર તવાઈ
દિનકર ગુપ્તા એનઆઈએના હેડ બન્યા પછી તેમણે કેનેડામાં રહેતા ખાલિસ્તાનવાદીઓ પર તવાઈ લાવી દીધી હતી. ગયા મહિને જ એમઆઈએના વડા તરીકે નિવૃત્ત થયેલા દિનકર ગુપ્તા પહેલાં પંજાબ પોલિસના વડા હતા તેથી કેનેડામાં રહીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતા ખાલિસ્તાનવાદી આતંકવાદીઓના નેટવર્ક વિશે રજેરજ માહિતી હતી તેથી એનઆઈએ ખાલિસ્તાનવાદીઓ સામે વધારે સક્રિય થઈ ગઈ હતી. ગુપ્તાના બે વર્ષના કાર્યકાળમાં ખાલિસ્તાનવાદીઓનો જબરદસ્ત ડેટાબેઝ એનઆઈએ પાસે થઈ ગયો છે. કેનેડા અને પાકિસ્તાન એ બે દેશ ખાલિસ્તાનવાદી આતંકીઓના અડ્ડા છે. આ બંને દેશોમાં ખાલિસ્તાનવાદીઓની એક પછી એક હત્યા થઈ રહી છે એ પાછળનું કારણ પણ એનઆઈએનો ડેટાબેઝ મનાય છે.