KP.1 and KP.2 Variants: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી એક વાર માથું ઉચક્યું છે. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ KP.1 અને KP.2 મ્યૂટેશને કોરોનાના કેસમાં વધારો કર્યો છે. ઝડપથી કેસોમાં વધારો કરી રહેલા આ વેરિયન્ટથી હજુ સુધી માઈલ્ડ ઈન્ફેક્શનની જ પુષ્ટિ થઈ છે. પરંતુ સરકારની તેના પર નજર છે. આ નવા મ્યૂટેશન અંગે દેખરેખ વધારી દીધી છે. બીજી તરફ હવે રેન્ડમ સેમ્પલિંગની પણ તૈયારી થઈ રહી છે. અત્યાર સુધી આ ગંભીર બીમારીથી મૃત્યુના આંકડામાં વધારાની પુષ્ટિ નથી થઈ.
આ વેરિયન્ટથી ડરવાની જરૂર નથી
દિલ્હી AIIMSના કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસરે જણાવ્યું કે, આ કોરોનાનો આ વાયરસ RNA વાયરસ છે. તેમાં મ્યૂટેશન થતું રહે છે. નવા વેરિયન્ટ આવતા રહેશે. મામલાઓમાં ઉતાર-ચઢાવ પણ આવતા રહેશે. હમણાં જ નહીં આગામી 50 વર્ષ સુધી પણ આવું થતું રહી શકે છે. આપણે એ મોનિટર કરવું જોઈએ કે શું ગંભીરતા કે મૃત્યુમાં વધારો થયો છે. અત્યાર સુધીના પુરાવા પ્રમાણે આ કોમન કોલ્ડ છે તેનાથી વધુ કંઈ નથી. ન તો ગભરાવાની જરૂર છે કે ન તો વ્યૂહરચના બદલવાની જરૂર છે. માત્ર મોનીટરીંગ કરવાનું છે.
ભારત જ નહીં વિશ્વના અલગ-અલગ દેશોમાં પણ આ નવા વેરિયન્ટે કેસમાં ઝડપથી વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે KP.1 અને KP.2ના ભારતમાં 300થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ઓમિક્રોનના સબ લીનિએઝ JN.1મ મ્યૂટેશનના કારણે KP.1 KP.2 અસ્તિત્વમાં આવ્યા છે.
કેટલો ખતરનાક છે નવો વેરિયેન્ટ?
આંકડા દર્શાવે છે કે આ વેરિયન્ટ પાસે ઝડપથી કેસ વધારવાની ક્ષમતા છે. પરંતુ અત્યાર સુધી આ બે નવા મ્યૂટેશનના કારણે ન તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી છે કે ન તો મૃત્યુમાં વધારો થયો છે. સંક્રમણ તો વધી રહ્યું છે પરંતુ તેમાં કોઈ ગંભીરતા નથી. કોરોનાના આ નવા આકાર અને પ્રકારે ચોક્કસપણે ચિંતા વધારી છે પરંતુ હજુ સુધી મુશ્કેલી નથી વધારી. પરંતુ તેમ છતાં તેના પર નજર અને દેખરેખ રાખવામાં આવી રહી છે.