વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ અઠવાડિયે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન તેમણે ઉદ્ધવ ઠાકરેના જૂથને ફેક શિવસેના ગણાવી હતી. પીએમ મોદીના આ કટાક્ષ પર ઉદ્ધવ ઠાકરેએ પણ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે તમારી ડિગ્રીની જેમ મારી પાર્ટી પણ નકલી(ફેક) નથી. તેમણે પાલઘર લોકસભા સીટ પરથી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ઉમેદવાર ભારતી કામડીના સમર્થનમાં એક રેલીને સંબોધતા આ વાત કહી. આ દરમિયાન તેમણે I.N.D.I.A. ગઠબંધનની શાનદાર જીતનો દાવો પણ કર્યો હતો.
ઉદ્ધવે આપ્યો વળતો જવાબ..
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “શિવસેના પ્રમુખ બાલઠાકરે દ્વારા ધરતીપુત્રોના અધિકારો માટે લડવા માટે રચાયેલી શિવસેનાને નકલી કહેવામાં આવી રહી છે. તે તમારી ડિગ્રી નથી જેને નકલી કહી શકાય. ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાને નકલી ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “I.N.D.I.A. સહયોગી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સનાતનને નષ્ટ કરવાની વાત કરી રહ્યો છે અને સનાતન ધર્મને મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે જોડી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ અને નકલી શિવસેના મહારાષ્ટ્રમાં રેલીઓ માટે આવા લોકોને બોલાવી રહી છે.
પવાર જૂથે પણ વળતો પ્રહાર કર્યો હતો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SCP)ના મુખ્ય પ્રવક્તા મહેશ તાપસેએ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે નિશાન તાકતાં પાર્ટીને ‘નકલી NCP’ કહેવા અને શરદ પવારના યોગદાન પર સવાલ ઉઠાવવા બદલ આકરી ટીકા કરી હતી. તાપસેએ કહ્યું કે ભાજપે મહારાષ્ટ્રમાં પોતાની સરકારમાં કેટલાક નકલી નેતાઓને સામેલ કર્યા છે.