રાજકોટનાં ટીઆરપીઝોનમાં એક મહિના પહેલાં જ નોકરીએ લાગ્યા બાદ જીમટ્રેનર તરીકે જાણીતા એવા સુનિલભાઈ સિધ્ધપુરાએ અગ્નિકાંડની દુર્ઘટના બાદ અન્ય લોકોનાં જીવ બચાવ્યા બાદ આગનાં ધૂમાડામાં ગુંગળાઈ જતા જીવ ગુમાવ્યો હોવાની સંભાવના તેમના પરીવારજનોએ વ્યક્ત કરી હતી. આજે તેમનો મૃતદેહ પરીવારને સોંપાયા બાદ પરીવારજનોના કરૂણ આક્રંદ સાથે સ્વ.સુનિલભાઈની અંતિમવિધિ કરવામાં આવી હતી.
ગેમઝોનમાં બીજા માળે ફરજ બજાવતા હતા
રાજકોટમાં એરપોર્ટ રોડ ઉપર રહેતા સ્વ. સુનિલભાઈ હસમુખભાઈ સિધ્ધપુરાના લગ્ન થોડા વર્ષો અગાઉ થયા હતાં. સંતાનમાં એકમાત્ર દિકરી છે. સ્વ. સુનિલભાઈનાં સ્વજન આશિષભાઈ સિધ્ધપુરાએ જણાવ્યું હતું કે, મારા કાકાનો દિકરો સ્વ. સુનિલભાઈ ગેમઝોનમાં બીજા માળે ફરજ બજાવતો હતો.
લોકોને બચાવવા જતા ખુદ આગની લપેટમાં આવી ગયા
આગની દુર્ઘટના સર્જાઈ ત્યારે બીજા માળે તે અન્ય લોકોને બચાવવાનાં કામમાં જોડાઈ ગયા હતા. ઘણાં લોકોને તેણે આગમાંથી બચાવ્યા પણ હતાં. પરંતુ ખુદ આગની લપેટમાં આવી ગયા હતા. ગેમ ઝોનનાં બીજા માળે આગની જવાળાઓ સાથે ચારેબાજુ ધૂમાડા પ્રસરતા તે પણ ફસાઈ ગયો હતો. જેમાંથી નીકળવું મુશ્કેલ હતું.
શારીરિક રીતે સશસ્કત એવા સુનિલભાઈ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા
પરીણામે શારીરિક રીતે સશસ્કત એવા સ્વ.સુનિલભાઈ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેમના મોટાભાઈ જૂનાગઢ રહે છે. તેઓ નોકરી કરે છે. અહીં રાજકોટમાં જુનું મકાન વેંચીને એરપોર્ટ રોડ ઉપર મકાન લીધુ હતું. કુટુંબનાં આધારસ્તંભ સમાન સ્વ.સુનિલભાઈનો મૃતદેહ આજે પરીવારને સોંપાતા રામનાથપરા ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી.