મુંબઈમાં ચોપાટી પાસેનાં એક રેસ્ટોરાંએ 2017માં ગ્રાહક પાસેથી ફરજિયાત 29 રૂપિયા સર્વિસ ચાર્જ વસૂલ કર્યો હતો. હવે આ રેસ્ટોરાંને આ ગ્રાહકને પચ્ચીસ હજાર રુપિયાનું વળતર ચૂકવવાનો આદેશ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કમિશન દ્વારા અપાયો છે.
રેસ્ટોરાંને બિલ પર વેઈટરને ટીપ આપવી કે નહિ તે નક્કી કરવાનો ગ્રાહકનો જ વિશેષાધિકાર છે અને કોઈ રેસ્ટોરાં તેના પર સર્વિસ ચાર્જ ફરજિયાત લાદી શકે નહીં તેમ ફોરમે જણાવ્યું છે.
ગ્રાહક પાસેથી પાંચ ટકા ફરજિયાત સર્વિસ ચાર્જ લેવો ગેરકાયદેસર
આ રેસ્ટોરાં દ્વારા ગેરવ્યાજબી વેપાર પદ્ધતિ અને પ્રતિબંધાત્મક વેપાર રીતરસમ અપનાવાઈ હોવાનું ફોરમે જણાવ્યું હતું. ફોરમે કહ્યું હતું કે ગ્રાહક પાસેથી પાંચ ટકા ફરજિયાત સર્વિસ ચાર્જ લેવું વાંધાજનક અને ગેરકાયદેસર છે. જેને બિલકુલ ઊચિત ઠેરવી નહીં શકાય.
ટિપ આપવી કે લેવી તે ગ્રાહક અને સર્વિસ સ્ટાફ વચ્ચેનો મરજીનો વ્યવહાર છે. તેમાં હોટલ મેનેજમેન્ટ કોઈ ભૂમિકા ભજવી શકે નહીં. ટિપ કેટલી આપવી તેનો નિર્ણય ગ્રાહકે કરવાનો છે તેવું કમીશને કહ્યું હતું.
શું હતો મામલો?
જુલાઈ 2019માં એક ગ્રાહકે સાઉથ મુંબઈ ડિસ્ટ્રીક્ટ કન્ઝયૂમર ડિસ્પુટ્સ રિહેસલ કમિશનમાં રેસ્ટોરન્ટ વિરુધ્ધ ફરિયાદ કરી હતી. રેસ્ટોરાંએ પોતાના બચાવમાં કહ્યું હતું કે ફક્ત ભોજન કરનારાઓ પાસેથી જ સર્વિસ ચાર્જ લેવામાં આવે છે. પ્રવેશદ્વાર, ફ્રન્ટ ડેસ્ક અને મેનુ જેવા સહેલાઈથી વાંચી શકાય તેવી રીતે સર્વિસ ચાર્જની રકમ દર્શાવવામાં આવે છે.
ફોરમે કહ્યું કે મેનુ કાર્ડમાં સર્વિસ ચાર્જનો ઉલ્લેખ એવી રીતે કરવામાં આવ્યો છે કે ગ્રાહકને એમ જ સમજશે કે આ સ્ટેચ્યુટરી લેવી (સરકારે જાહેર કરેલો કર) છે. એક લાઈનમાં સર્વિસ ટેક્સ અને સર્વિસ ચાર્જ શબ્દ ભેગા લખીને આ સ્ટેમ્યુટરી લેવી છે તે તેવું માનવા ગ્રાહક પ્રેરાય છે.