રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સુરત પાલિકા વિસ્તારમાં ફરી તેના માટે સુરત પાલિકાએ 20 લાખ રૂપિયાનો ધુમાડો કર્યો હતો. આ ઉપરાંત પાલિકાએ વિવિધ કાર્યક્રમમાં મંડપ માટે 75 લાખનો ખર્ચ કર્યો છે અને આ કામગીરી માટે એક જ એજન્સી જય જલારામ મંડપ ડેકોરેટર્સને કામગીરી સોંપવા સામે વિપક્ષે જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યા હતા.
સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિની બેઠક મળી હતી તેમાં વિપક્ષના સભ્ય સેજલ માવલીયાએ કેટલાક પ્રશ્નો રજૂ કરી શાસકોને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે પાલિકાએ બોર્ડ બેનર પાછળ 20,81,000 નો ખર્ચ કર્યો હતો. રાજ્ય સરકાર તાયફા પાછળ પાલિકા શા માટે 20 લાખનો ખર્ચ કેમ કરે છે તે પ્રશ્ન પૂછ્યો હતો.
આ ઉપરાંત 73 ડી ની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં 73ના મંડપના કેટલાક કામો રજુ કરવામાં આવ્યા હતા. ટુકડે-ટુકડે રજુ કરવામાં આવેલા કામમાં રકમ જુદી જુદી હતી પરંતુ કામગીરી માટે એક જ એજન્સી જય જલારામ મંડપ ડેકોરેટર્સ આવી હતી. જુદા-જુદા કામ માટે એક જ એજન્સીને કામગીરી કેવી રીતે સોપવામાં આવી તે પણ તપાસનો વિષય છે અને મંડપ પાછળ અધધ કહી શકાય તેવો 75 લાખ રૂપિયાનો ખર્ચ પણ મોટો છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ કરવામા આવ્યો છે. આમ 73 ડી કલમ હેઠળ આ બેઠકમાં 7.34 કરોડના કામ રજુ કરવામાં આવ્યા છે તે પણ શંકાનો વિષય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ભેસ્તાન ખાતે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ 10 વર્ષમાં જર્જરિત થઈ ગયાં તેમાં પણ વિપક્ષે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું, આ ભાજપના ભ્રષ્ટાચારનો નમૂનો છે. સેજલબેન અન્ય સભ્યોને પૂછ્યું હતું કે શું તમારું ઘર 10 વર્ષમાં ખખડી જાય છે? તમે લોકો માટે એવા તે કેવા મકાન બનાવો છો કે 10-10 વર્ષમાં જર્જરિત થઇ ગયાં..? આવી એજન્સી સામે પગલાં ભરવાની માગણી પણ કરવામાં આવી હતી.