ભારતને મધ્ય પૂર્વથી યૂરોપ સાથે જોડતા ઈકોનૉમિક કૉરિડોર (India Middle East Economic Corridor) કામ ચાલુ રાખવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સંયુક્ત આરબ અમીરાત સાથે એક સમજૂતી કરાર કર્યો છે. બુધવારે UAEની રાજધાની અબુધાબીમાં હિન્દુ મંદિર (Abu Bhabi BAPS Swaminarayan Temple)નું ઉદઘાટન કર્યા બાદ યુએઈ દ્વારા ભારતને આ બીજી મોટી ભેટ મળતા ચીન (Cina)ની ચિંતા વધી શકે છે.
ભારતના વિદેશ સચિવ IMEC અંગે આપી માહિતી
ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ મંગળવારે અબુધાબીમાં યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈન્ડિયા-મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનૉમિક કૉરિડોર અથવા IMEC પર કામ કરવા માટે પ્રથમ પગલું ભરવા સહમત થયા છે.’
IMEC કૉરિડોરથી ચીનનું વધશે ટેન્શન
IMEC કૉરિડોર એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ કૉરિડોર ભારત, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, જૉર્ડન, ઈઝરાયેલ થઈ યુરોપ સુધી જશે. પ્રોજેક્ટ હેઠળ ભારતને મધ્ય-પૂર્વ થઈ યુરોપ સુધી જોડવા સમુદ્રી લેન અને રેલ નેટવર્ક બિછાવવામાં આવશે. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વેપારમાં વધારો કરવાનો અને નૂર ખર્ચ તેમજ સમયમાં ઘટાડો કરવાનો છે. ભારતના આ પ્રોજેક્ટને ચીનના ‘બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)’ પ્રોજેક્ટનો પ્રતિસ્પર્ધી માનવામાં આવી રહ્યો છે, તેથી આઈએમઈસી કૉરિડોરની કોઈપણ પ્રગતિ જોઈ ચીનની ચિંતા વધશે.
ચીનનો પ્રોજેક્ટ પાકિસ્તાન (Pakistan) થઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થતો હોવાથી, ભારત બીઆરઆઈ પ્રોજેક્ટનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યો છે. ભારતનું કહેવું છે કે, ચીનનો પ્રોજેક્ટને અમારી સંપ્રુભતાનું ઉલ્લંઘન છે.