સોમવારે યોજાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (SC) SBIને આવતીકાલ (12 માર્ચ) સુધીમાં સંપૂર્ણ વિગતો આપવાનો આદેશ આપ્યો
Lok Sabha Election 2024 : ઈલેક્ટોરલ બોન્ડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઈલેક્ટોરલ બોન્ડ પર સુનાવણી દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે યોજાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (SC) SBIને આવતીકાલ (12 માર્ચ) સુધીમાં સંપૂર્ણ વિગતો આપવાનો આદેશ આપ્યો છે. અગાઉ સુનાવણી દરમિયાન SBI તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ માહિતી આપવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો.
SBI તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, કોર્ટે SBIને બોન્ડની ખરીદી વિશે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં ખરીદદારોની માહિતી તેમજ બોન્ડની કિંમતનો સમાવેશ થાય છે. સાલ્વેએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે આ સિવાય રાજકીય પક્ષોની વિગતો અને પક્ષકારો દ્વારા મેળવેલા બોન્ડની સંખ્યા પણ આપવી પડશે પરંતુ સમસ્યા એ છે કે માહિતી મેળવવા માટે સમગ્ર પ્રક્રિયાને ઉલટાવવી પડશે. SOP હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, બોન્ડ ખરીદનાર અને બોન્ડ વિશેની માહિતી વચ્ચે કોઈ સંબંધ નથી. અમને કહેવામાં આવ્યું હતું કે, તે ગુપ્ત રાખવું જોઈએ. બોન્ડ ખરીદનારનું નામ અને ખરીદીની તારીખ કોડેડ છે, જેને ડીકોડ કરવામાં સમય લાગશે.
બંને વિગતો મુંબઈમાં જ છે તો સમસ્યા ક્યાં છે?: SC
SBIની અરજી વાંચતી વખતે CJIએ કહ્યું, અરજીમાં તમે (SBI) કહ્યું છે કે તમામ માહિતી સીલ કરીને SBIની મુંબઈની મુખ્ય શાખાને મોકલવામાં આવી છે. પેમેન્ટ સ્લિપ પણ મુખ્ય શાખામાં મોકલવામાં આવી હતી. એટલે કે બંને વિગતો મુંબઈમાં જ છે. પરંતુ અમે માહિતીને મેચ કરવા માટે સૂચના આપી નથી. અમે ઈચ્છીએ છીએ કે SBI દાતાઓ વિશે સ્પષ્ટ માહિતી આપે. CJIએ SBIને પૂછ્યું કે, તે નિર્ણયનું પાલન કેમ નથી કરી રહી. FAQ એ પણ દર્શાવે છે કે દરેક ખરીદી માટે અલગ KYC છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, તમામ વિગતો સીલબંધ કવરમાં છે અને તમે (એસબીઆઈ) ફક્ત સીલબંધ કવર ખોલો અને વિગતો આપો.
SBIએ માહિતી ન આપવા પાછળ શું કારણ આપ્યું ?
SBI વતી હાજર રહેલા હરીશ સાલ્વેએ કહ્યું કે, બોન્ડ ખરીદવાની તારીખ સાથે બોન્ડનો નંબર અને તેની વિગતો પણ આપવી પડશે. તેના પર CJI એ પૂછ્યું કે, ક્યારે નિર્ણય 15 ફેબ્રુઆરીએ આપવામાં આવ્યો અને આજે 11 માર્ચ છે. હજુ સુધી નિર્ણયનો અમલ કેમ થયો નથી ? સુપ્રીમ કોર્ટના સવાલ પર સાલ્વેએ કહ્યું કે, અમે સંપૂર્ણ સાવચેતી રાખી રહ્યા છીએ. જેથી ખોટી માહિતી આપવા બદલ અમારી સામે કેસ ન થાય. તેના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે આમાં કેસનો શું અર્થ છે. તમને (SBI) સુપ્રીમ કોર્ટના આદેશો છે. મહત્વનું છે કે, 5 જજોની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે, જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.