ટિકિટ ન મળવાથી ઘણા નારાજ નેતા કોંગ્રેસમાં જોડાઈ શકે અથવા અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે
રાજ્યમાં નારાજ નેતાના બળવાથી ભાજપને મોટું નુક્સાન પહોંચી શકે છે
લોકસભાની ચૂંટણીને હવે આડે એક મહિના જેટલો સમય બાકી છે અને રાજકીય પક્ષોમાં ટિકિટને લઈને ખેંચતાણ ચાલી રહી છે ત્યારે કર્ણાટકમાં ભાજપ સામે વિચિત્ર સંકટ ઉભું થયું છે. ટિકિટ ન મળવાથી ઘણા નારાજ નેતાઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ શકે છે અથવા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડે તેવી પણ શક્યતા છે.
કર્ણાટકમાં ભાજપ માટે પડકારો વધી શકે
ભાજપે ઉમેદવારોના નામની બે યાદી જાહેર કરી દીધી છે, જેમાં કેટલાક અસંતુષ્ટ નેતાઓ પક્ષથી નારાજ થયા છે ત્યારે 28 બેઠકો ધરાવતા કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી ભાજપ માટે પડકારો વધી શકે તેવું ચિત્ર ઉભુ થઈ રહ્યું છે. યેદિયુરપ્પા લોકસભાના ઉમેદવારોની યાદી માટે ઉતાવળે દિલ્હી પહોંચ્યા છે. એક તરફ વિધાનસભામાં ભાજપની હાર બાદ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ ડીવી સદાનંદ ગૌડાએ બળવાખોર વલળ દાખવ્યું છે. આ ઉપરાંત પાર્ટીના વરિષ્ઠ નેતા કેએસ ઈશ્વરપ્પા પણ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ભાજપ માટે કર્ણાટકમાં નવું સંકટ ઉભું થયું છે.
વધતી સમસ્યાઓ જોઈને યેદિયુરપ્પા દિલ્હી ગયા
રાજ્યમાં વધતી જતી સમસ્યાઓ જોઈને બીએસ યેદિયુરપ્પા દિલ્હી ચાલ્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે તેમનું ટેન્સન વધારે હોવાનું એક કારણ કે ઇશ્વરપ્પા જ્યાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે તે યેદિયુરપ્પાનો હોમ જિલ્લો શિવમોગ્ગા છે. અહીં બળવાથી રાજ્યમાં પાર્ટીને નુક્સાન પહોંચી શકે છે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભાજપ 28 બેઠકો માટે ઉમેદવારોની આગામી યાદી જાહેર કરવા જઈ રહી છે. ભાજપના ઘણા નેતાઓ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને જેડીએસ સાથેના ગઠબંધનથી પણ ખુશ નથી. પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા હવે દિલ્હીમાં પાર્ટી નેતૃત્વ સાથે કર્ણાટક સંકટ પર ચર્ચા કરશે. આ દરમિયાન રાજ્યની બાકીની આઠ લોકસભા બેઠકો માટેના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવશે.
જેડીએસ પણ ખુશ નથી
બીજી તરફ, ગઠબંધન સાથી જેડીએસ એ વાતથી નારાજ છે કે બેઠકોની વહેંચણીમાં વિલંબ થઈ રહ્યો છે. જેડીએસના નેતાઓ પણ કહી રહ્યા છે કે ભાજપની યાદી બનાવતા પહેલા તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. જો કે, એક દિવસ પછી, જનતા દળ (સેક્યુલર) નેતા એચડી કુમારસ્વામીએ યુ-ટર્ન લીધો અને કહ્યું કે આનો અર્થ એ નથી કે બંને પક્ષો વચ્ચે વિશ્વાસનો અભાવ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ અને જેડીએસ વચ્ચેના સંબંધોમાં કોઈ મતભેદ નથી.