ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું IPL 2024 પહેલા મંગળવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી અનબોક્સ ઇવેન્ટ દરમિયાન ચાહકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આરસીબી અનબોક્સ ઇવેન્ટ દરમિયાન, વિરાટ કોહલીએ તેના દિલની વાત કરતા કહ્યું કે, ‘મને કિંગ કહેવાનું બંધ કરો, આ શબ્દથી હું શરમ અનુભવું છું. મને વિરાટ કહીને જ બોલાવો, એવા શબ્દનો પ્રયોગ ના કરશો જે મારા માટે અજીબ છે.’
મહિલા આરસીબી ટીમના કર્યા વખાણ
વિરાટે ઈવેન્ટમાં મહિલા આરસીબી ટીમના વખાણ કર્યા અને કહ્યું કે, ‘જયારે તેઓ ફાઈનલ જીત્યા ત્યારે હું મેચ જોઈ રહ્યો હતો. મને આશા છે કે આ સિઝનમાં અમે પણ તેમના જેવું પરફોર્મ કરી શકીશું. જો આવું થશે તો અમારી ખુશી બમણી થઈ જશે. કોહલી લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે અને હવે તે IPLથી મેદાનમાં પરત ફરી રહ્યો છે. વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ચાહકો આ સિઝનમાં કોહલી પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.
22 માર્ચે રમાશે પ્રથમ મેચ
RCB ટીમ 22 માર્ચે CSK સાથે તેની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. જો કે 2023 IPLમાં CSK એ પાંચમી વખત IPLનો ખિતાબ જીત્યો હતો. જયારે RCB IPLનો તાજ જીતવામાં સફળ રહી નથી. RCBએ 2009, 2011 અને 2016માં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ત્રણેય વખત રનર-અપ જ રહી છે.