સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના કેસની વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી
દિલ્હી વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર સ્થગિત કરવામાં આવ્યું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની ફરી પૂછપરછ શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલની પૂછપરછ કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી રહી છે અને ઉપરાંત લેખિતમાં નિવેદન પણ નોંધવામાં આવી રહ્યું છે. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર થોડીવારમાં જ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની ધરપકડ સામે તાત્કાલિક સુનાવણીની અરજી મંજૂર કરી દીધી છે.
CJIએ કેસને અન્ય બેન્ચને મોકલ્યો
સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના કેસની વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે તમે જસ્ટિસ સંજીવ ખન્ના પાસે જાઓ અને તમારી વાત રાખો, તેમની પાસે સ્પેશિયલ બેન્ચ છે. ચીફ જસ્ટિસે કહ્યું કે સંજીવ ખન્નાની બેંચ આજે સુનાવણી કરશે.
દિલ્હી વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર સ્થગિત
દિલ્હી વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર સ્થગિત કરવામાં આવ્યું હતું. આજે નિર્ધારિત વિશેષ સત્ર હવે 27 માર્ચે યોજાશે. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય સેવાઓમાં આવી રહેલી સમસ્યાઓને લઈને દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.
અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાતે જ ધરપકડ થઈ હતી
દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વિનર અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાતે ધરપકડ કરી લીધી હતી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેજરીવાલને ધરપકડથી બચવા માટે વચગાળાની સુરક્ષા આપવાનો ઈન્કાર કર્યા પછી ઈડીની ટીમ રાત્રે જ 10મુ સમન લઈને દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે પહોંચી હતી અને લગભગ બે કલાકની પૂછપરછ પછી કેજરીવાલની ધરપકડ કરી હતી.