દેશમાં લોકસભા ચૂંટણી 2024નો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે અને ઉમેદવારોએ ફોર્મ ભરવાના શ્રીગણેશ પણ કરી દીધા છે. ત્યારે બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. BSPએ વારાણસી બેઠક પરથી પીએમ મોદી (PM Narendra Modi) સામે અતહર જમાલ લારી (Athar Jamal Lari)ને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
બીજી તરફ BSPએ મૈનપુરી બેઠક પરથી પોતાના ઉમેદવાર બદલી નાખ્યા છે. જૌનપુર બેઠક પરથી બાહુબલી ધનંજય સિંહના પત્ની શ્રીકલા સિંહને ટિકિટ આપવામાં આવી છે.
BSPએ ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી
BSPએ આ પાંચમી યાદી જાહેર છે. પાર્ટીએ આ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બદાયૂંથી મુસ્લિમ ખાન અને બરેલીથી છોટેલાલ ગંગવારને મેદાનમાં ઉતાર્યા છે. સુલ્તાનપુરથી ઉદરાજ વર્મા અને ફર્રુખાબાદ બેઠક પરથી ક્રાંતિ પાંડેને ટિકિટ મળી છે. બાંદાથી મયંક દ્વિવેદી અને ડુમરિયાગંજથી ખ્વાજા સમસુદ્દીન ચૂંટણી લડશે.
જૌનપુર બેઠક પરથી બાહુબલી ધનંજય સિંહના પત્ની શ્રીકલા સિંહને ટિકિટ આપી
બલિયાથી લલ્લન સિંહ યાદવ અને જૌનપુરથી શ્રીકલા રેડ્ડી (પત્ની- ધનંજય સિંહ)ને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગાઝીપુરથી સપાના ઉમેદવાર અને સાંસદ અફઝલ અન્સારી સામે ઉમેશ કુમાર સિંહ ચૂંટણી લડશે. વારાણસી બેઠક પરથી પીએમ મોદીની સામે અતહર જમાલ લારીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
મૈનપુરી બેઠક પરથી સપા ઉમેદવાર અને સાંસદ ડિમ્પલ યાદવ સામે બસપાએ પોતાના ઉમેદવાર બદલી નાખ્યા છે. ગુલશન દેવ શાક્યની ટિકિટ કપાઈ ગઈ છે. તેમના સ્થાને શિવ પ્રસાદ યાદવને ટિકિટ આપવામાં આવી છે.