મૂળ વડોદરાના પણ છેલ્લા 11 વર્ષથી ઓમાન દેશની રાજધાની મસ્કતમાં રહેતા નેહાબેન વોરા 1500 કિલોમીટરની મુસાફરી કરીને ખાસ મંગળવારે ત્રીજા તબક્કાના લોકસભા 2024ની ચૂંટણી માટે મતદાન કરવા વડોદરા આવ્યા હતા.
નેહાબેનનો યુવા મતદારોને સંદેશ
નેહાબેને પોતાનો મત આપ્યા બાદ કહ્યું હતું કે, ‘મેં યુવા મતદારોને સંદેશ આપવા માટે ખાસ વોટિંગ કરવા માટે ભારત આવવાનો નિર્ણય લીધો હતો. મતદાન દરેક ભારતીયનો અધિકાર છે. એનઆરઆઈ હોવા છતા મને મતદાન કરવાનુ ગૌરવ પ્રાપ્ત થયું છે. મતદાન કરવાનો અનુભવ પણ સુખદ રહ્યો છે.મતદાનની કાર્યવાહીનુ ઘણુ સારી રીતે સંચાલન થઈ રહ્યું હતું. મને મત આપવામાં કોઈ તકલીફ પડી નહોતી.’
બદલાવ લાવવા મતદાન કરવું જરુરી : નેહાબેન
આ ઉપરાંત નેહાબેને વધુમાં જણાવ્યું હતું કે, ‘દેશમાં બદલાવ લાવવા માટે મતદાન કરવુ જરુરી છે અને યુવાઓએ ખાસ કરીને મતદાન કરવાના અધિકારનુ મહત્વ સમજવુ જોઈએ. મારી નવ વર્ષની પુત્રી છે અને તેને પણ મતદાનનુ મહત્વ સમજાવવા માટે મતદાન કરવાનુ નક્કી કર્યુ હતુ.’