મઢ પાસે બેસવા બાબતે અવાર-નવાર થતાં ઝઘડાને લઈ સરપંચે સમાધાન કરાવ્યું હતું
ઈજાગ્રસ્તોને ભાવનગર ખસેડાયા, બન્ને પક્ષે સામ-સામે પોલીસ ફરિયાદ
ભાવનગર : ભાવનગર તાલુકાના જૂના માઢિયા ગામે મઢ પાસે બેસવા બાબતે બે પક્ષ વચ્ચે ચાલી રહેલા ઝઘડો શાંત પડે તે માટે સરપંચે સમાધાન બેઠક કર્યા બાદ બન્ને પક્ષ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં છ વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર માઢિયા ગામે રામજી મંદિરની પાછળ રહેતા ભોળાભાઈ માધાભાઈ રાઠોડ (ઉ.વ.૪૫)ના ઘરની સામે ખોડિયાર માતાજીનું મઢ આવેલું હતું. આ મઢ પાસે ઉભવા બાબતે તે જ ગામના શખ્સો સાથે નાના-મોટા ઝઘડા થતાં હોય, જેથી ગામના દેવાભાઈ તેમજ સરપંચ બિપીનભાઈએ બન્ને પક્ષ વચ્ચે ગઈકાલે શનિવારે રાત્રિના સમયે સમાધાન કરાવ્યું હતું. સમાધાન બેઠક પૂરી થયા બાદ આધેડ ભોળાભાઈ અને તેમના પરિવારજનો ઘરે જતાં જેન્તી નથુભાઈ ગોહિલ, ઈશ્વર જેન્તીભાઈ ગોહિલ, ગીટી હકાભાઈ ગોહિલ અને ગુલા હકાભાઈ ગોહિલ (રહે, ચારેય માઢિયા) નામના શખ્સોએ છરી, લાકડી લઈ આવી ભોળાભાઈ, તેમના પિતા માધાભાઈ, માતા લાભુબેન, ભાભી ગવુબેન અને ભત્રીજા રવિભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોળાભાઈ રાઠોડે ચારેય શખ્સ સામે ભાલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
સામા પક્ષે જેન્તીભાઈ નથુભાઈ ગોહિલ (ઉ.વ.૫૫, રહે, રામજી મંદિર પાછળ, માઢિયા)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ભોળા રાઠોડના ઘરની સામે તેમનું માતાજીનું મઢ આવેલ હોય, જ્યાં ઉભા રહેવા બાબતે શખ્સો સાથે માથાકૂટ થતી હોવાથી દેવાભાઈ અને સરપંચ બિપીનભાઈએ આ બાબતે સમાધાન કરાવ્યું હતું. સમાધાન થયા બાદ તેઓ મઢની બહાર ઉભા હતા. ત્યારે ભોળા માધાભાઈ રાઠોડ અને ગોવિંદ માધાભાઈ રાઠોડ (રહે, બન્ને માઢિયા)એ ગાળો બોલી જાનથી મારી નાંખવા ધમકી આપી પાઈપ વડે માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે ભાલ પોલીસે બન્ને શખ્સ સામે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો નોંધી બન્ને પક્ષની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. વધુમાં મારામારીના બનાવમાં ઈજા પામેલા તમામ લોકોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.