આરોગ્ય તંત્રના સબ સલામતના દાવા વચ્ચે અઠવાડિયાથી ઝાડા ઉલટીના કેસ ડબલ ડિજિટમાં નોંધાયા
કલોલના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીના નવા ૧૬ કેસ નોંધાયા હતા. જેમાંથી ૧૪ દર્દીઓને ઓપીડી સારવાર આપવામાં આવી હતી જ્યારે બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.પાણીજન્ય રોગચાળાને કારણે કલોલમાં ઝાડા ઉલટીના કુલ કેસની સંખ્યા ૧૯૨ થઇ ગઈ છે. પૂર્વ વિસ્તારના ત્રણેય વોર્ડમાં પ્રદુષિત પાણી આવવાની ફરિયાદો સામે આવી હતી પરંતુ પાલિકા તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવામાં ન આવતા પાણીજન્ય રોગચાળો ફેલાયો છે.
આરોગ્ય તંત્ર દ્વારા ત્રણ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં કોલેરા નહી હોવાનું જણાયું હતું. દૂષિત પાણીની ફરિયાદને પગલે લેવામાં આવેલા પાણીના સેમ્પલ પણ પીવાલાયક હોવાનું સાબિત થયું છે. મેડીકલ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરાઈ રહ્યું છે. આ દરમિયાન પાણીને ઉકાળી અને કલોરીનેશન કરી પીવા સૂચના આપવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારમાં ઓઆરએસના પેકેટ અને ક્લોરીનની ગોળીઓનું સતત વિતરણ કરવામાં આવી રહ્યું છે.
પૂર્વ વિસ્તારમાં પાણીના લીકેજ મળી આવ્યા હતા. જેને બંધ કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ હતી. કલોલ નગરપાલિકા તમામ લીકેજ બંધ કરી દીધા હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ અન્યત્ર કોઈ સ્થળે પાણીનું લીકેજ જોવા મળે તો તેનું સમારકામ કરવા કરવા ઉચ્ચ કક્ષાએથી સુચના આપવામાં આવી હતી. આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે રોગચાળો ફાટી નીકળે અઠવાડિયું વીતી ગયું હોવા છતાં ડબલ ડિજીટમાં ઝાડા ઉલટીના કેસ આવી રહ્યા છે.
કલોલ પૂર્વમાં છેલ્લા ચાર વર્ષથી રોગચાળો ફાટી નીકળતો હોવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાને નાથવા માટે કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. સમગ્ર કલોલમાં ફક્તને ફક્ત વર્ષે દહાડે પૂર્વ વિસ્તારમાં જ કોલેરા અને ઝાડા ઉલટીના કેસ આવતા હોય છે. પાલિકા દ્વારા પૂર્વ વિસ્તાર પ્રત્યે સતત ઓરમાયું વર્તન રાખી સફાઈ સહીતની કામગીરી કરવામાં આવતી નથી જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
ત્રણ દિવસ સુધી લોકોને રોગચાળા બાબતે અંધારામાં રખાયા
કલોલના પૂર્વ વિસ્તારમાં અઠવાડિયાથી રોગચાળો ફાટી નીકળ્યો છે. શરૃઆતના ત્રણ દિવસ દરમિયાન ઝાડા ઉલટીના કેસની સંખ્યા નોંધપાત્ર હોવા છતાં તંત્ર દ્વારા લોકોને રોગચાળા બાબતે અંધારામાં જ રાખવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આરોગ્ય તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્રણ દિવસ બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૃ કરવામાં આવી તે પ્રથમ દિવસથી જ હાથ ધરાઈ હોત તો આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા ન હોત તેમ લોકોએ જણાવ્યું હતું. રોગચાળો હોવા છતાં તંત્ર દ્વારા વોર્ડ ૧૧ની ચંદ્રલોક સોસાયટી,સત્યમનગર તેમજ વાગોસણાના પરા પાસે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેની સફાઈ માટે છ માસ અગાઉ અરજી કરવામાં આવી હોવા છતાં કામગીરી કરાઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.