ધાક-ધમકીથી કંટાળી ટ્રેન નીચે પડતું મુક્યું હતું
મૃતકના મોબાઇલના પડેલા વીડિયોના આધારે પોલીસ ફરિયાદ નોંધાવાઇ
આણંદ: આણંદ પાસેના બોરીયાવી ગામના યુવકે ફેબુ્રઆરી માસમાં ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કર્યો હોવાના બનાવમાં પોલીસ તપાસમાં ગામના જ ચાર શખ્શોની ધાક-ધમકીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ચાર શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોરીયાવી ગામના રાવળવાસમાં રહેતા ૨૧ વર્ષીય અજય રમેશભાઈ રાવળે ગત તા.૧૪મી ફેબુ્રઆરી, ૨૦૨૪ના રોજ બોરીયાવી-કણજરી રેલ્વે બ્રીજ નીચે આવેલ ગરનાળા ખાતેના રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લીધો હતો.
અપમૃત્યુની આ ઘટના બાદ અજય રાવળના મોટાભાઈએ અજયનો મોબાઈલ તપાસ્યો હતો. જેમાં એક વીડીયો જોવા મળ્યો હતો. આ વીડીયોમાં શૈલેષ પટેલ, વિપુલ પટેલ, નીલ પટેલ તથા રૂસિલ પટેલ નામના શખ્શો ફોન ઉપર તેને ધાક-ધમકી આપીને હેરાન કરતા હોવાનું અને શૈલેષ પટેલના ત્રાસથી મરવા જાઉ છું તેમ જણાવતા અલગ-અલગ વીડીયો તથા સ્ક્રીનશોટ જોવા મળ્યા હતા.
આ અંગે આકાશ રમેશભાઈ રાવળે નોંધાવેલ ફરિયાદ મુજબ અજય રાવળના આપઘાતના આગલા દિવસે શૈલેષ પટેલ, વિપુલ પટેલ અને રૂસિલ પટેલે પિતા સાથે ઝઘડો કરી ધમકી આપી હતી. ઉપરાંત સાયબર ક્રાઈમમાં જવા બાબતે પણ ધમકી આપી હતી. ઉપરાંત અજયને ફોન કરીને સાયબર પોલીસના નામે ધમકી આપી હતી. આખરે કંટાળી ગયેલ અજયે ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કર્યો હતો.
આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે આકાશ રમેશભાઈ રાવળની ફરિયાદના આધારે શૈલેષભાઈ મફતભાઈ પટેલ, વિપુલભાઈ મફતભાઈ પટેલ, નીલ શૈલેષભાઈ પટેલ અને રૂસિલ વિપુલભાઈ પટેલ (તમામ રહે.બોરીયાવી) વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.