રાજ્યની તમામ યુનિવર્સિટીમાં કોમન એન્ટ્રન્સની માર્ગદર્શિકા જાહેર
એસપી યુનિવર્સિટીમાં સરકારના જાહેરનામા બાદ પ્રવેશ પ્રક્રિયા થશે
ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન યુનિ. એક્ટ લાગુ કરાયા બાદ પ્રવેશ પ્રક્રિયા માટે કોમન એન્ટ્રન્સની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ સરકારના નોટીફીકેશન બાદ એડમીશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.યુનિ. દ્વારા પોર્ટલ ઉપર તમામ માહિતી આપી દેવામાં આવી હોવાનું યુનિ. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
રાજ્યની ૧૪ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એડમીશન સેલ અને ગ્રીવન્સ રીડ્રેસલ સેલની રચના કરવાની સુચના આપવામાં આવી છે. પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની ફરિયાદ યોગ્ય રીતે સાંભળી શકાય તે માટે તમામ યુનિ.ઓએ કેવી રીતે આ સેલની રચના કરવી તેની વિગતો પણ જાહેર કરવામાં આવી છે.
રાજ્યભરમાં આગામી દિવસોમાં ૧૪ યુનિવર્સિટીઓમાં એકસાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ થનાર છે ત્યારે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા દરેક યુનવિર્સિટીઓને આ પ્રકારના સેલની રચના કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ગ્રીવન્સ રીડ્રેસલ સેલમાં એક ગ્રીવન્સ રીડ્રેસલ નોડલ ઓફીસર અને દરેક વિદ્યાશાખા માટે ગ્રીવન્સ રીડ્રેસલ નોડલ ઓફિસરની નિયુક્તિ કરવાની રહેશે. આ ઉપરાંત કોમન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકે તે માટે દરેક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં હેલ્પ સેન્ટરની પણ રચના કરવા સુચના અપાઈ છે. વિદ્યાર્થીઓએ પોર્ટલ ઉપર બેઝીક જાણકારી, શૈક્ષણિક માહિતી, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ફોટોગ્રાફ સહિતની વિગતો રજુ કરવાની રહેશે.
રાજ્યની ૧૪ યુનિવર્સિટીઓ માટે પહેલીવાર ઓનલાઈન રજીસ્ટ્રેશન હોવાથી એડમીશન સેલની રચના કરવાની રહેશે. તમામ કાર્યવાહી કર્યા પછી પ્રવેશ ફાળવણીની કાર્યવાહી જે તે યુનિવર્સિટીઓએ જ કરવાની રહેશે. વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે યુનિ.ના રજીસ્ટ્રાર ભાઈલાલભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રાયોગીક માર્ગદર્શિકા મુજબ સ.પ.યુનિ. દ્વારા પોર્ટલ ઉપર તમામ માહિતી આપી એડમીશનની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધો.૧૨ના પરિણામ બાદ પોર્ટલ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરીનો પ્રારંભ થશે. સેન્ટ્રલ લેવલેથી ગાઈડલાઈન મળ્યા મુજબ કામગીરી કરવામાં આવશે અને એડમીશનની તમામ કાર્યવાહી સેન્ટ્રલી પ્રોસેસ થશે.